બોટાદમાં સમરસતા યાત્રાનું સ્વાગત:વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાબાસાહેબ આંબેડકરજીની યાત્રાનું આયોજન
તારીખ 10 એપ્રિલ, 2026 ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ, બોટાદ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરજી સમરસતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું પ્રસ્થાન ગોકુળીયાનાથ જગ્યાના મહંત દિનેશબાપુ, સ્વામી માધવસ્વરૂપજી, સ્વામી આત્માનંદ સરસ્વતીજી અને અન્ય ઉપસ્થિત મહેમાનોના હસ્તે ગોકુળીયાનાથની જગ્યાએથી કરવામાં આવ્યું હતું. આ યાત્રા ખુશ્બુ રેસિડેન્સી, ખસ રોડ, બોટાદ ખાતે નવનિર્માણ પામી રહેલા સમતા બુદ્ધ વિહાર ખાતે સવારે અગિયાર કલાકે પહોંચી હતી. ત્યાં ભગવાન બુદ્ધ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરજીને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમતા બુદ્ધ વિહારના પ્રમુખ બોધિરાજ બૌદ્ધ દ્વારા ત્રિશરણ પંચશીલ પાઠ કરાવવામાં આવ્યો હતો. સમરસતા યાત્રાના પદાધિકારીઓને બોધિરાજ બૌદ્ધ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ તિરંગો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રામાં જોડાયેલા તમામ મહેમાનોને માનવતાના પ્રતીક સમા ભગવાન બુદ્ધના પંચશીલના પ્રતીક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બુદ્ધ વિહારમાં ચા-નાસ્તાની વ્યવસ્થા રાહુલભાઈ વાજા દ્વારા કરાઈ હતી. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ દેવજીભાઈ રાવત, રસેશભાઈ રાવલ, મોન્ટુભાઈ માળી, ભરતભાઈ પરમાર, રસિકભાઈ કણજરીયા, મહેશભાઈ કણજરીયા, ભુપતભાઈ ચૌહાણ, બિજલભાઈ પરમાર, વિશાલભાઈ ખખ્ખર, દેવજીભાઈ મ્યાત્રા સહિત સંગઠનના આગેવાનો જોડાયા હતા. તેમજ સામાજિક આગેવાનો અમૃતભાઈ કલીવડા, રાજુભાઈ વાઘેલા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →