અનાથ આશ્રમના નામે ઘોઘાના યુવાન સાથે ઠગાઈ:25 લાખની સોનાની માળા આપવાની લાલચ આપી બે ગઠિયા 45 હજાર પડાવી ફરાર
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે મજૂરી કામ કરતા 35 વર્ષીય કાનજીભાઈ નાનુભાઈ ડાભી સાથે અજાણ્યા શખ્સોએ મોટી છેતરપિંડી આચરી છે. 19 મે, 2026ના રોજ સવારે બે અજાણ્યા શખ્સો કાનજીભાઈના ઘરે આવ્યા હતા. આ શખ્સોએ પોતાની ઓળખ રાજકોટ અનાથ આશ્રમના સેવક તરીકે આપી હતી. તેમણે કાનજીભાઈને વિશ્વાસમાં લઈ જણાવ્યું કે, તેમની પાસે અંદાજે ₹20 થી 25 લાખની કિંમતની સોનાના પારા વાળી કિંમતી માળા છે, જે તેઓ ઓછી કિંમતે વેચવા માંગે છે. સોનાનો પારો આપી ગઠિયાઓએ વિશ્વાસ જીત્યો
ગઠિયાઓએ કાનજીભાઈને માળા બતાવીને તેમાંથી એક અસલી સોનાનો પારો આપ્યો અને તેની સોની પાસે ચકાસણી કરવા કહ્યું. કાનજીભાઈએ સોની પાસે જઈને તપાસ કરાવતા તે પારો સાચો સોનાનો નીકળ્યો અને તેમણે તે ₹1500માં વેચી દીધો. આ ચકાસણીથી કાનજીભાઈને શખ્સો પર પૂરો ભરોસો બેસી ગયો હતો. સોનાની માળા આપીને આરોપીઓ રફુચક્કર
ત્યારબાદ 22 મેના રોજ બંને શખ્સો ફરી કાનજીભાઈના ઘરે આવ્યા અને માળાનો સોદો ₹5 લાખમાં નક્કી થયો. જો કે, કાનજીભાઈ પાસે પૂરી રકમ ન હોવાથી તેમણે હાલ પૂરતા ₹45000 રોકડા ચૂકવી દીધા. ગઠિયાઓ કાનજીભાઈને સોનાની માળા આપીને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. એક અઠવાડિયા પછી જ્યારે કાનજીભાઈએ આખી માળા સોની પાસે તપાસાવી, ત્યારે ખબર પડી કે આખી માળા નકલી હતી. વિશ્વાસઘાત અને ઠગાઈનો ભોગ બનેલા કાનજીભાઈએ આખરે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બે અજાણ્યા શખ્સો સામે BNS કલમ 316(2) અને 4 મુજબ ગુનો નોંધીને આગળની તપાસ અને શોધખોળ હાથ ધરી છે.
Read Original Article →