યુવક પર ત્રણ ભાઈઓ છરી લઈને તૂટી પડ્યા:ઉછીના રૂપિયા આપવાના બહાને બોલાવીને જીવલેણ હુમલો કર્યો, કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં બનાવ

Gujarat6/3/2026, 5:55:12 AM
યુવક પર ત્રણ ભાઈઓ છરી લઈને તૂટી પડ્યા:ઉછીના રૂપિયા આપવાના બહાને બોલાવીને જીવલેણ હુમલો કર્યો, કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં બનાવ
ભાવનગરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં ગત રાત્રે આશરે સાડા આઠ વાગ્યે નાણાકીય લેવડદેવડ મામલે એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. મજૂરી કામ કરતા 30 વર્ષીય અજય ધીરુભાઈ ચૌહાણને ઉછીના લીધેલા રૂ.4,007 પરત આપવાના બહાને બોલાવી ત્રણ સગા ભાઈઓએ આ હુમલો કર્યો હતો. આ ઘટના અંગે બોરતળાવ પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવક પર ત્રણ ભાઈઓ છરી લઈને તૂટી પડ્યા ભોગ બનનાર યુવક અજય ચૌહાણ રાત્રિના સમયે કુંભારવાડા ખાર વિસ્તારમાં પોતાના મિત્ર સાજીદભાઈ સાથે બેઠા હતાં. તે દરમિયાન ત્યાં મોટરસાયકલ લઈને આવેલા વિશાલ ગોહિલે અગાઉ લીધેલા ઉછીના રૂપિયા પરત આપવાનું કહી અજયને પોતાની સાથે બાઈક પર બેસાડ્યો હતો. આ જ સમયે વિશાલના અન્ય બે ભાઈઓ મનોજ અને વિજય ગોહિલ પણ અલગ મોટરસાયકલ લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ અજયભાઈને વિશાલના ઘર નજીક લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પહોંચતા જ ત્રણેય ભાઈઓએ અચાનક ગાળાગાળી શરૂ કરી દીધી હતી. અજયભાઈએ ગાળો બોલવાની ના પાડતા ત્રણેય ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની પર છરી વડે તીક્ષ્ણ હુમલો કરી દીધો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડાયો હુમલાના કારણે અજયભાઈને હાથના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને અંજામ આપીને ત્રણેય હુમલાખોર ભાઈઓ પોતાની મોટરસાયકલ પર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્રણેય ભાઈ વિરુદ્ધ ગુનો નોંધાયો ભાવનગરના બોરતળાવ પોલીસ મથકમાં ભોગ બનનાર વ્યક્તિની ફરિયાદના આધારે વિશાલ મહેશભાઈ ગોહિલ, મનોજ ગોહિલ અને વિજય ગોહિલ નામના ત્રણ સગા ભાઈઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 118(2), 352, 54 તેમજ જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધીને તેમને ઝડપી પાડવા માટે કાયદેસરની ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
Read Original Article →