ચૂંટણી ટાણે નેતાઓના વાયદા, પણ પછી પ્રજા લાચાર:ભાવનગરના વડવા-બ વોર્ડના વિસ્તારમાં આવતા મોતીતળાવ વિસ્તારમાં ગટર અને ગંદકીના ગંભીર પ્રશ્નો
ચૂંટણી નજીક આવતા જ રાજકીય ગરમાવો વધી રહ્યો છે પરંતુ શહેરના મોતીતળાવ અને કુંભારવાડા વિસ્તારના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, વડવા-બ વોર્ડ 3 ના રહીશો વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારતા આ વિસ્તારના લોકો હવે તંત્ર અને નેતાઓ સામે મેદાને પડ્યા છે, મત માટે નેતાઓ દોડી આવે છે, ચૂંટણી જાય પછી ગાયબ થઈ જાય છે. શહેરના મોતી તળાવ શેરી નંબર 1 અને આસપાસના વિસ્તારોમાં ગટરની સમસ્યા એટલી હદે વકરી છે કે સવારના સમયે રસ્તાઓ પર અડધો થી પોણો ફૂટ પાણી ભરાઈ જાય છે, સ્થાનિક રહીશ રજ્જાકભાઈ પઠાણ જણાવે છે કે, "સવારે ઘરેથી બહાર નીકળતા પહેલા વિચાર કરવો પડે છે. ગલીઓમાં એટલું પાણી હોય છે કે ચાલી પણ શકાતું નથી." આવી જ વ્યથા ઠાલવતા યુસુફભાઈ ચૌહાણ કહે છે કે, નાના બાળકોને સ્કૂલે મોકલવામાં ભારે મુશ્કેલી પડે છે, કોર્પોરેશનમાં ફરિયાદ કરીએ તો 8-8 દિવસ સુધી કોઈ આવતું નથી અને માત્ર 'વારા' મુજબ આવવાના બહાના બતાવવામાં આવે છે. સ્થાનિક યુવાન જાદવ ઈમ્તિયાઝ એ જણાવ્યું હતું કે, "ચૂંટણી પ્રચાર વખતે તમામ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ પગે લાગવા આવે છે, બ્લોક નાખવાના અને સુવિધા આપવાના વાયદા કરે છે, પરંતુ જીત્યા પછી કોઈ ડોકાતું પણ નથી." આ વિસ્તારના લોકોમાં એ વાતનો પસ્તાવો છે કે શરતો મૂકવા છતાં નેતાઓ કામ પૂરું કરતા નથી. એક મહિલા રહીશે પોતાની પીડા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમના ઘરમાં પ્રસંગ હોવા છતાં ગટર સાફ કરવા કોઈ ન આવ્યું, મારા પતિને પેરાલિસિસ છે, ગંદકી અને ગારામાં તે ચાલી શકતા નથી અને પડી જાય છે અમે ગરીબ માણસો ક્યાં જઈએ?" બીજી તરફ, જાયદાબેન સૈયદ નામના મહિલાએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, "અમારા ઘર તોડી નાખવામાં આવ્યા છે, અમે 4000 રૂપિયા ભાડું ભરીને રહીએ છીએ. ન લાઈટ છે ન મીટર. આવી સ્થિતિમાં અમે કોઈને મત આપવાના નથી."
મુખ્ય સમસ્યાઓ જેનો ઉકેલ નથી આવ્યો જેવી કે, ગટર ઉભરાવી, પાણીની સુવિધા અનિયમિત,રસ્તાની હાલત બદતર, તેમજ વારંવાર રજૂઆતો છતાં કોર્પોરેશન દ્વારા માત્ર કામચલાઉ ઉકેલ કરે છે,ભાવનગરના આ પછાત ગણાતા વિસ્તારોમાં હવે લોકોમાં 'નો વોટ' નો મિજાજ પણ જોવા મળી રહ્યો છે જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો ચૂંટણી સમયે નેતાઓ માટે પ્રચાર કરવો મુશ્કેલ બની શકે છે.
Read Original Article →