ભાવનગરના પીઆઇની સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી:પેરોલફ્લો સ્કોવડમાં કામગીરી બાદ પી.બી. જેબલિયાને મોટી જવાબદારી સોંપાઈ
ભાવનગર જિલ્લામાં તાજેતરમાં જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા પોલીસ બેડામાં મોટાપાયે આંતરિક ફેરબદલ કરવામાં આવ્યો હતો, જેમાં 400થી વધુ પોલીસ કોન્સ્ટેબલ સહિતના કર્મચારીઓની બદલીના આદેશો કરવામાં આવ્યા હતા, ત્યાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ છ પોલીસ ઇન્સ્પેક્ટરોની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC), ગાંધીનગર ખાતે બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભાવનગરના પી.બી જેબલિયાની એસએમસી (SMC) ઓર્ડર થતા પોલીસ વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. 6 પોલીસ ઇન્સ્પેક્ટરોની સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિમણૂંક
બદલી પામનાર અધિકારીઓમાં અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા જે.જે. ચાવડા, સીઆઇડી ક્રાઇમના બી.પી. દેસાઈ, ભરૂચ જિલ્લાના એ.વાય. બલોચ, જૂનાગઢ જિલ્લાના વાય.જે. રાઠોડ, મહીસાગર જિલ્લાના એમ.ડી. ચંપાવત તેમજ ભાવનગર જિલ્લાના પી.બી. જેબલિયાનો સમાવેશ થાય છે. આ ઓર્ડર બાદ સંબંધિત પોલીસ અધિકારીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પી.બી જેબલિયા પેરોલ-ફર્લો સ્ક્વોડના પીઆઇ તરીકે ફરજ બજાવતા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના પૂર્વ ડીજીપી વિકાસ સહાયના અધ્યક્ષસ્થાને ફેબ્રુઆરી-2025 દરમિયાન ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સ દરમિયાન પી.બી. જેબલિયાની પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પોલીસ વિભાગમાં છેલ્લા 3 વર્ષથી સક્રિય રહેલા પી.બી. જેબલિયાએ અગાઉ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી હતી, જ્યાં અનેક ગુનાઓના ભેદ ઉકેલવામાં તેમની કામગીરી કરી હતી. ત્યારબાદ તેઓ પેરોલ-ફર્લો સ્ક્વોડમાં પીએસઆઇ તરીકે જોડાયા હતા. ત્યારબાદ પીઆઇ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. પ્રમોશન બાદ તેઓ છેલ્લા ઘણા સમયથી પેરોલ-ફર્લો સ્ક્વોડના પીઆઇ તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને જીએસટી કૌભાંડ, પેપરલિંક કાંડ, ડમીકાંડ, ચકચારી પિંગરી ડબલ મડર જેવા વિવિધ ગુનાઓ સામે કડક કાર્યવાહી માટે જાણીતા બન્યા હતા. ખાસ કરીને ભાવનગરમાંથી પી.બી. જેબલિયાની બદલીને લઈને પોલીસ વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.
Read Original Article →