ભાવનગરમાં સૂર્યદેવનો પ્રકોપ:સતત ચોથા દિવસે પારો 41 ડિગ્રીને પાર, 32 કિમીની ઝડપે ફૂંકાયેલી ગરમ પવનથી નાગરિકો ત્રાહિમામ

Gujarat5/27/2026, 1:33:02 PM
ભાવનગરમાં સૂર્યદેવનો પ્રકોપ:સતત ચોથા દિવસે પારો 41 ડિગ્રીને પાર, 32 કિમીની ઝડપે ફૂંકાયેલી ગરમ પવનથી નાગરિકો ત્રાહિમામ
ભાવનગર સહિત સમગ્ર ગોહિલવાડ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. મે મહિનાના અંતિમ સપ્તાહમાં ઉનાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરતાં તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. આજે સતત ચોથા દિવસે પણ ભાવનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ નોંધાયું હતું. આજે બુધવારે તાપમાનનો પારો 41.7 ડિગ્રીએ સ્થિર રહેવાની સાથે 32 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે ગરમ લૂ ફૂંકાતા બપોરના સમયે શહેરના માર્ગો સૂમસામ ભાસતા હતા અને લોકો ગરમીથી અકળાઈ ઉઠ્યા હતા. છેલ્લા છ દિવસમાં ગરમીનો પારો સતત વધ્યો હવામાન વિભાગના છેલ્લા છ દિવસના આંકડાઓ પર નજર કરીએ તો ગરમીમાં નોંધપાત્ર અને ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. ગત શુક્રવાર અને શનિવારે મહત્તમ તાપમાન ૩૮.૨ ડિગ્રી આસપાસ હતું, પરંતુ રવિવારથી જ પારો સીધો 41.9ડિગ્રી પર પહોંચી ગયો હતો. મંગળવારે તો ચાલુ સીઝનનું રેકોર્ડબ્રેક ૪૨.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પારો સતત ઊંચો રહેવાની સાથે પવનની ગતિ પણ ૨૬ થી ૩૪ કિલોમીટર પ્રતિ કલાક જેટલી ફાસ્ટ રહેતા નાગરિકો અસહ્ય બફારા અને અગનગોળા જેવા તાપનો સામનો કરી રહ્યા છે. છેલ્લા છ દિવસના તાપમાન અને હવામાનની સ્થિતિ: બપોરે બહાર નીકળવાનું ટાળવું આગામી દિવસોમાં પણ ગરમીનો આ જ પ્રકારનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા હોવાથી વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. લોકોને બપોરના 12થી 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બિનજરૂરી રીતે ઘર કે ઓફિસની બહાર નીકળવાનું ટાળવા જણાવાયું છે. આ ઉપરાંત શરીરનું તાપમાન જળવાઈ રહે અને ડિહાઈડ્રેશન ન થાય તે માટે પૂરતા પ્રમાણમાં પાણી અને અન્ય સ્વાસ્થ્યવર્ધક પ્રવાહી પદાર્થોનું સેવન કરવું હિતાવહ છે. હીટ વેવ અને લૂથી બચવા માટેના જરૂરી પગલાં કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના (હીટ સ્ટ્રોક) કેસોથી બચવા માટે નાગરિકોએ સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. આ દિવસો દરમિયાન વારંવાર તરસ ન લાગી હોય તો પણ પાણી પીતા રહેવું જરૂરી છે. આ ઉપરાંત લીંબુ શરબત, મોળી છાશ, તાળફળી, નાળિયેર પાણી, ખાંડ-મીઠાનું ઘરેલું દ્રાવણ તથા ઓ.આર.એસ. (ORS) નો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. બહાર જતી વખતે સુતરાઉ કપડાં પહેરવા અને માથું ઢાંકીને રાખવું જેથી ગરમીની સીધી અસરથી બચી શકાય.
Read Original Article →