મહાદેવના દર્શન કરી કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભર્યા:વિજય સંકલ્પ પદયાત્રામાં ‘પરિવર્તનનો સંકલ્પ, કોંગ્રેસ જ વિકલ્પ’ના સૂત્રોચ્ચાર

Gujarat4/10/2026, 6:34:00 AM
મહાદેવના દર્શન કરી કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભર્યા:વિજય સંકલ્પ પદયાત્રામાં ‘પરિવર્તનનો સંકલ્પ, કોંગ્રેસ જ વિકલ્પ’ના સૂત્રોચ્ચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે આજરોજ (10 એપ્રિલ) ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ વોર્ડના ઉમેદવારોનું ઉમેદવારી પત્ર ભરવા માટે "વિજય સંકલ્પ પદયાત્રા"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડતા શહેરના માર્ગો 'પરિવર્તન'ના નાદથી ગુંજી ઉઠ્યા હતાં. ​ભીડભંજન મહાદેવના આશીર્વાદ સાથે પ્રારંભ ​આ પદયાત્રાનો પ્રારંભ જિલ્લા પંચાયત પાસે આવેલા પવિત્ર ભીડભંજન મહાદેવ મંદિર ખાતે પૂજા-અર્ચના કરીને કરવામાં આવ્યો હતો. મહાદેવના આશીર્વાદ લઈ, વિજયના સંકલ્પ સાથે કોંગ્રેસના તમામ ઉમેદવારો, પક્ષના હોદ્દેદારો, ઉમેદવારના ચાહકો તથા કાર્યકરો વાજતે-ગાજતે કલેક્ટર કચેરી પહોંચી ફોર્મ ભર્યા હતાં. વોર્ડ પ્રમાણે ફોર્મ ભરવાની કામગીરી મહાનગરપાલિકાના 1થી 13 વોર્ડ માટે અલગ-અલગ ચાર જગ્યાએ ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વોર્ડ નંબર 1થી 3 માટે પ્રાંત અધિકારીની કચેરી કલેક્ટર ઓફિસ, વોર્ડ નંબર 4થી 6 માટે સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન તંત્ર બહુમાળી ભવન, વોર્ડ નંબર 7થી 10 જિલ્લા પુરવઠા કચેરી કલેકટર ઓફિસ તથા વોર્ડ નંબર 11થી 13 માટે જિલ્લા આયોજન કચેરી કલેક્ટર કચેરી ખાતે ફોર્મ વિતરણ ભર્યા હતા. ‘પરિવર્તનનો સંકલ્પ, કોંગ્રેસ જ વિકલ્પ’ના સૂત્રોચ્ચાર ​પદયાત્રા દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા શહેરની જનતાને પરિવર્તન માટે અપીલ કરવામાં આવી હતી. પદયાત્રામાં "આવો સૌ સાથે મળી ભાવનગરમાં પરિવર્તન લાવીએ" તથા ​"પરિવર્તનનો સંકલ્પ, કોંગ્રેસ જ વિકલ્પ" સૂત્રોચ્ચાર કર્યા હતા. ઢોલ-નગારા અને વિજયના ઉત્સાહ સાથે પદયાત્રા કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં તમામ વોર્ડના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતાં. કોંગ્રેસના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભાવનગરની જનતા આ વખતે પાયાની સુવિધાઓ અને શહેરના વિકાસ માટે કોંગ્રેસ પર પસંદગી કરશે.
Read Original Article →