'હું મારા જીવનથી ખૂબ કંટાળી ગયો છું':અંતિમ ચિઠ્ઠી લખી યુવકે હાઈટેન્શન ટાવર પર ગળે ફાંસો ખાંધો, સંઘર્ષ કરવા છતાં સફળતા ન મળતા મોત વ્હાલું કર્યું
ઝઘડીયા તાલુકાના મુલદ ગામ નજીક હાઈટેન્શન વીજ ટાવર પર એક યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાસ્થળેથી એક અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઝઘડીયા માર્ગ પર આવેલી મારુતિ રેસીડેન્સીમાં રહેતા કમલેશકુમાર મણીલાલ વસાવાએ અંતિમ પગલું ભર્યું હતું. સ્થાનિકોએ ઘટનાની જાણ થતાં ઝઘડીયા પોલીસને જાણ કરી હતી. મૃતક પાસેથી મળેલી અંતિમ ચિઠ્ઠીમાં તેમણે જીવનમાં કરેલા સંઘર્ષ અને નિષ્ફળતાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, "મેં જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો, પરંતુ સફળતા મળી નહીં. હું મારા જીવનથી ખૂબ કંટાળી ગયો છું, તેથી આ નિર્ણય સ્વેચ્છાએ લઈ રહ્યો છું." ચિઠ્ઠીમાં તેમણે પોતાના મોત માટે કોઈને જવાબદાર ન ઠેરવવાની વિનંતી કરી હતી. સાથે જ પત્ની અને બંને દીકરીઓ પ્રત્યે અપરંપાર પ્રેમ વ્યક્ત કરતાં માફી પણ માંગી હતી. તેમણે લખ્યું હતું કે, "હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું, મારી બંને દીકરીઓને ખૂબ પ્રેમ કરું છું. મને માફ કરજો... આઈ લવ માય ફેમિલી, આઈ એમ સોરી માય વાઇફ એન્ડ માય ડોટર્સ." ઝઘડીયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Read Original Article →