દહેજની યોકોહામા કંપનીમાં કામદારોનો વિરોધ:યુનિયન દબાવવા ધમકી અને દાદાગીરીના આક્ષેપ

Gujarat5/28/2026, 10:26:43 AM
દહેજની યોકોહામા કંપનીમાં કામદારોનો વિરોધ:યુનિયન દબાવવા ધમકી અને દાદાગીરીના આક્ષેપ
દહેજ સ્થિત યોકોહામા ATG ટાયર લિમિટેડ કંપની ફરી વિવાદમાં સપડાઈ છે. કંપનીના કામદારોએ સંચાલન સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ભારતીય મજદૂર સંઘ સંચાલિત ભારતીય કર્મચારી સંઘ સાથે જોડાયેલા કામદારોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી જણાવ્યું કે, કંપનીમાં યુનિયન સાથે સંકળાયેલા કર્મચારીઓને નિશાન બનાવી માનસિક દબાણ કરવામાં આવી રહ્યું છે. કામદાર જયેશ સોપાનદેવ પાટીલે મીડિયાને જણાવ્યું કે, ગત 23 મેના રોજ શિફ્ટ પૂરી થયા બાદ માંડવા જઈ રહેલી કામદારોની બસને રસ્તામાં રોકવામાં આવી હતી. કંપનીના કર્મચારી પ્રિન્સ સંજય બિરેન્દ્ર રાય અને તેના સાગરીતોએ બસમાં હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન બસમાં બેઠેલા કામદારોને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ મામલે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. કામદારોના આક્ષેપ મુજબ, પ્રિન્સ રાય સામે અગાઉ આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવા છતાં કંપની સંચાલકોએ તેને નોકરીમાં યથાવત રાખ્યો છે. આના કારણે અન્ય કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. કામદારોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે કંપની સંચાલન આવા તત્વોનો ઉપયોગ કરીને યુનિયનની પ્રવૃત્તિઓને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુનિયન સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓને કારણ વગર શો-કોઝ નોટિસ આપી દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ જણાવાયું છે. મજદૂર સંઘના આગેવાન સુરેન્દ્રસિંહ રાજે જણાવ્યું કે, કામદારોની સુરક્ષા માટે કંપની અને પોલીસ તંત્રએ તાત્કાલિક કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, આ મુદ્દે જિલ્લા પોલીસવડા અને કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ મામલે દિવ્ય ભાસ્કર દ્વારા યોકોહામા ATG ટાયર કંપનીના એચઆર હેડ જયદીપ કોટનિશાનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ફોન રિસીવ થયો ન હતો.
Read Original Article →