ભરૂચમાં અજાણી માનસિક પીડિત યુવતીને આશ્રય મળ્યો:સખી વન સ્ટોપ સેન્ટરે સુરત રિફર કરી
ભરૂચ શહેરમાં એક માનવતાભર્યો કિસ્સો સામે આવ્યો છે. 3 એપ્રિલ 2023ના રોજ સાંજે લગભગ 6 વાગ્યે, જનરક્ષક 112 મોબાઈલને મળેલી માહિતીના આધારે, ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસે એક અજાણી યુવતીને સુરક્ષિત રીતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય માટે લાવી હતી. સેન્ટર પર લાવવામાં આવેલી યુવતી ખૂબ જ ગભરાયેલી હાલતમાં હતી. કાઉન્સેલિંગ દરમિયાન તેણે પોતાનું નામ અને અંદાજિત ઉંમર 20 વર્ષ જણાવી હતી. તેણે પોતાનું વતન બિહાર રાજ્યના સહરસા જિલ્લામાં હોવાનું જણાવ્યું, પરંતુ વધુ ચોક્કસ માહિતી આપી શકી નહોતી. સતત કાઉન્સેલિંગ છતાં જરૂરી માહિતી ન મળતા અને તેના વર્તન પરથી તે માનસિક રીતે પીડિત હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. યુવતીનું તબીબી નિરીક્ષણ પણ કરાવવામાં આવ્યું હતું. તે અલગ અલગ માહિતી આપતી હોવાથી સંબંધિત પોલીસ સ્ટેશનોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ પરિવારજનો અંગે કોઈ ચોક્કસ માહિતી મળી શકી નહોતી. યુવતીની શારીરિક સ્થિતિ પણ નબળી જણાતા તેને વધુ સંભાળ અને લાંબા ગાળાના આશ્રયની જરૂરિયાત ઊભી થઈ. આ પરિસ્થિતિમાં, મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધ અધિકારીના માર્ગદર્શન હેઠળ, 7 એપ્રિલ 2026ના રોજ યુવતીને સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા માનવસેવા ટ્રસ્ટમાં વધુ સારવાર અને સંભાળ માટે રિફર કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન, સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફે સંવેદનશીલતા અને જવાબદારીપૂર્વક કામગીરી બજાવી હતી.
Read Original Article →