ભરૂચ પાલિકામાં પીવાના પાણીનો મુદ્દો ઉગ્ર બન્યો:કોંગ્રેસે જગ મૂક્યા, અધિકારીએ નવી વ્યવસ્થા શરૂ કરાવી
ભરૂચમાં ઉનાળાની કાળઝાળ ગરમી 44 ડિગ્રીને પાર પહોંચી છે, ત્યારે ભરૂચ નગરપાલિકામાં આવતા અરજદારોને પીવાના પાણીની મૂળભૂત સુવિધા માટે હાલાકી ભોગવવી પડી રહી હતી. જન્મ-મરણ વિભાગ સહિતના વિભાગોમાં પાણી ન મળતા નાગરિકોએ ફરિયાદ કરી હતી, જેના પગલે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ મામલે વોર્ડ નંબર-8ના કોંગ્રેસના કોર્પોરેટર જીગ્નેશ બ્રહ્મભટ્ટ અને ઝુબેર પટેલ સહિતના કોંગ્રેસી આગેવાનો નગરપાલિકા પહોંચ્યા હતા. તેમણે ઠંડા પાણીના જગ લાવી અરજદારોને પોતાના હાથે પાણી પીવડાવી પાલિકા તંત્ર સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટર જીગ્નેશ બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો હતો કે, નગરપાલિકામાં કુલર અને આર.ઓ. મશીન હોવા છતાં લોકો સુધી પાણી પહોંચતું નથી. મશીનોમાં ગંદકી, માટી અને કચરો જોવા મળે છે, જેના કારણે પાણી પીવાલાયક રહ્યું નથી. તેમણે શૌચાલયોની સ્થિતિ પણ અત્યંત દયનીય હોવાનું જણાવ્યું હતું. બ્રહ્મભટ્ટે વધુમાં ચીમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી પાલિકા તંત્ર દ્વારા અરજદારો માટે સ્વચ્છ અને ઠંડા પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે, ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા જાતે પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. બીજી તરફ, ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જન્મ-મરણ અને આવકના દાખલા માટે આવતા અરજદારોને ધ્યાનમાં રાખી આજથી જ ઠંડા પાણીના જગની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. તેમણે બંધ હાલતમાં રહેલા કુલર અને આર.ઓ. મશીનના રિપેરિંગ અને સર્વિસિંગ માટે પણ સૂચનાઓ આપી દેવામાં આવી હોવાનું ઉમેર્યું હતું.
Read Original Article →