કોંગી ઉમેદવારે પ્રદેશ પ્રમુખનું બેનર પેટ્રોલ છાંટી સળગાવ્યું:ભરૂચ પાલિકાના વોર્ડ 2માં મેન્ડેટ વિવાદ બાદ કોંગ્રેસમાં ભડકો, ચૂંટણી ફોર્મ રદ થતાં સમર્થકો સાથે પિત્તો ગુમાવ્યો
ભરૂચ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. વોર્ડ નંબર 2 માં મેન્ડેટ વિવાદ બાદ કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓના બેનરો સળગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિવાદની શરૂઆત વોર્ડ નંબર 2 માં બે ઉમેદવારોને મેન્ડેટ આપવાથી થઈ હતી. શરૂઆતમાં કુતુબુદ્દીન કરણ પટેલને સત્તાવાર ઉમેદવાર તરીકે મેન્ડેટ મળ્યું હતું. જોકે, બાદમાં સમસાદઅલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ પણ ઉમેદવારી નોંધાવતા ગૂંચવણ વધી હતી. ફોર્મ ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારીઓએ સમસાદઅલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાના ફોર્મ માન્ય રાખ્યા હતા, જ્યારે કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણયથી કુતુબુદ્દીન પટેલના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આક્રોશિત કાર્યકરોએ જંબુસર બાયપાસ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના આગેવાનોના બેનરો સળગાવી જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ સ્થાનિક કોંગ્રેસ સંગઠનમાં ઊંડા આંતરિક વિખવાદને ઉજાગર કર્યો છે. ચૂંટણી પહેલાં ઊભેલા આ વિવાદની પક્ષના પ્રદર્શન પર શું અસર થશે તે જોવું રહ્યું.
Read Original Article →