ભરૂચમાં 16 હજારથી વધુ ડ્રોપઆઉટ બાળકોની ઓળખ:મિશન બેક ટુ સ્કૂલ અભિયાન હેઠળ સર્વે હાથ ધરાયો, સર્વે ટીમોએ 15453 બાળકોનો સીધો સંપર્ક કર્યો

Gujarat5/14/2026, 11:06:06 AM
ભરૂચમાં 16 હજારથી વધુ ડ્રોપઆઉટ બાળકોની ઓળખ:મિશન બેક ટુ સ્કૂલ અભિયાન હેઠળ સર્વે હાથ ધરાયો, સર્વે ટીમોએ 15453 બાળકોનો સીધો સંપર્ક કર્યો
ભરૂચ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા “મિશન બેક ટુ સ્કૂલ” અભિયાન હેઠળ એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેમાં છેલ્લા ત્રણ વર્ષમાં અભ્યાસ છોડી ચૂકેલા 16,174 બાળકોની ઓળખ કરવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલના જણાવ્યા અનુસાર, સર્વે ટીમોએ 15,453 બાળકોનો સીધો સંપર્ક કર્યો છે. EDS પોર્ટલ અને અર્લી વોર્નિંગ સિસ્ટમ દ્વારા 3,254 વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ડ્રોપઆઉટ થવાના જોખમ હેઠળ હોવાનું સામે આવ્યું છે. આ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે. તંત્રના પ્રયાસોથી અત્યાર સુધીમાં 1,497 બાળકોને ફરી શાળામાં પ્રવેશ અપાવવામાં સફળતા મળી છે. સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે 2,239 બાળકો પરિવાર સાથે સ્થળાંતર કરી ગયા છે, જ્યારે 4,103 વિદ્યાર્થીઓ ITI અને ડિપ્લોમા જેવા ટેકનિકલ અભ્યાસક્રમોમાં જોડાયા છે. બીજી તરફ, 6,570 બાળકો અને તેમના વાલીઓએ ભણતર ચાલુ રાખવાનો ઇનકાર કર્યો છે. શિક્ષણ વિભાગના મતે, આર્થિક પરિસ્થિતિ અને ધોરણ-10માં નિષ્ફળતા એ ડ્રોપઆઉટના મુખ્ય કારણો છે. હવે આવા બાળકોને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવા માટે NGOs અને સેવાભાવી સંસ્થાઓની મદદ લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.
Read Original Article →