ભરૂચમાં રાજ્યસ્તરીય પરિષદ GUJCON 2026નો પ્રારંભ:વ્યવસાયિક આરોગ્ય અને કામદાર સુખાકારી મુદ્દે મંથન શરૂ
ભરૂચમાં ઇન્ડિયન એસોસિયેશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થ (IAOH)ની અંકલેશ્વર-ભરૂચ શાખા દ્વારા રાજ્યસ્તરીય પરિષદ GUJCON 2026નો પ્રારંભ થયો છે. એક ખાનગી હોટલમાં યોજાયેલી આ પરિષદમાં રાજ્યભરના ઔદ્યોગિક આરોગ્ય નિષ્ણાતો, તબીબો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ એકઠા થયા છે. અહીં કાર્યસ્થળ પર કામદારોના આરોગ્ય, સલામતી અને સુખાકારી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. પરિષદના ઉદ્ઘાટન સમારોહમાં ICMR-NIOHના ડિરેક્ટર ડૉ. ભાવેશ મોદી, IAOHના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. હિતેશ સિંઘલ, રાષ્ટ્રીય સચિવ ડૉ. કિશોર પરીખ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ મેડિકલ હેડ ડૉ. આર. રાજેશ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદમાં વૈજ્ઞાનિક સત્રો, નિષ્ણાત પ્રવચનો અને ચર્ચા ગોષ્ઠિઓનું આયોજન કરાયું છે. આ પ્રસંગે GFLના ક્લસ્ટર હેડ અને દહેજ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના પ્રમુખ સુનિલ ભટ્ટે દહેજ જેવા મોટા ઔદ્યોગિક વિસ્તારમાં આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે દહેજમાં ઓછામાં ઓછી 100 બેડની અદ્યતન હોસ્પિટલ સ્થાપવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ભટ્ટે આશા વ્યક્ત કરી કે આ યોજના ટૂંક સમયમાં સાકાર થશે અને તબીબો તથા આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોને આ પહેલમાં સહયોગ આપવા અપીલ કરી હતી. આયોજકોના મતે, 7 જૂન સુધી ચાલનારી આ પરિષદ રાજ્યમાં વધુ સુરક્ષિત અને સ્વસ્થ કાર્યસ્થળોના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડી રહી છે.
Read Original Article →