ભરૂચમાં બિસ્માર માર્ગો મુદ્દે કોંગ્રેસનો ચક્કાજામ:પોલીસે પરવાનગી વગર પ્રદર્શન કરતાં અનેક કાર્યકરોની અટકાયત

Gujarat6/6/2026, 7:32:23 AM
ભરૂચમાં બિસ્માર માર્ગો મુદ્દે કોંગ્રેસનો ચક્કાજામ:પોલીસે પરવાનગી વગર પ્રદર્શન કરતાં અનેક કાર્યકરોની અટકાયત
ભરૂચ શહેરમાં બિસ્માર માર્ગો, વધતી ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણીના ભરાવાના પ્રશ્નોને લઈને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર બાયપાસ ચોકડી ખાતે ધરણાં અને ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો હતો. પરવાનગી વગર આયોજિત આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ અવરોધવાનો પ્રયાસ કરતા પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ, નર્મદા ચોકડીથી મનુબર ચોકડી સુધીનો માર્ગ લાંબા સમયથી ખરાબ હાલતમાં છે. ખાસ કરીને સર્વિસ રોડ અને રેલવે ફાટક વિસ્તાર પાસેના ખાડાઓ, વધતી ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણીના નિકાલના અભાવે વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં સંબંધિત તંત્ર અને જી.એસ.આર.ડી.સી. દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ, ઝુબેર પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, જિગ્નેશ બ્રહ્મભટ્ટ અને અબ્દુલ કામઠી સહિતના આગેવાનોના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા. તેમણે માર્ગ સમારકામ, આર.સી.સી. રોડના નિર્માણ અને વરસાદી પાણીના યોગ્ય નિકાલની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ સમિતિએ પરવાનગી માંગી હોવા છતાં તેમને મંજૂરી આપવામાં આવી ન હતી. પ્રદર્શન દરમિયાન સર્જાયેલી ટ્રાફિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી અને ચક્કાજામ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની ચેતવણી બાદ જી.એસ.આર.ડી.સી. વિભાગ દ્વારા રાતોરાત ડામર પાથરી દેવામાં આવ્યો હતો. જોકે, કોંગ્રેસના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ધોરણે માર્ગોની યોગ્ય મરામત, ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ અને વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.
Read Original Article →