ભરૂચ કોંગ્રેસના બે નેતાઓની અપક્ષ દાવેદારી:ટિકિટ ન મળતા પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિત બે મેદાનમાં

Gujarat4/11/2026, 11:07:11 AM
ભરૂચ કોંગ્રેસના બે નેતાઓની અપક્ષ દાવેદારી:ટિકિટ ન મળતા પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિત બે મેદાનમાં
ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. પાર્ટી દ્વારા ટિકિટ ન મળતા પૂર્વ વિરોધ પક્ષના નેતા સમસાદ સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા છે. મળતી માહિતી મુજબ, બંને નેતાઓએ સવારે મીડિયા સમક્ષ કોંગ્રેસ સાથે જ રહેવાનું અને પાર્ટી પ્રત્યે વફાદાર રહેવાનું નિવેદન આપ્યું હતું. જોકે, દિવસના અંતે તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. કોંગ્રેસે આ બેઠક માટે કુતુબુદ્દીન ઉર્ફે કરન પટેલને સત્તાવાર ટિકિટ આપી છે. આના કારણે ટિકિટથી વંચિત રહેલા દાવેદારોમાં નારાજગી ફાટી નીકળી હોવાનું મનાય છે. અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ પણ સમસાદ સૈયદે પોતે કોંગ્રેસના જ સૈનિક હોવાનો દાવો કર્યો હતો. આ નિવેદનથી રાજકીય ગૂંચવણ વધુ વધી છે. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સમસાદ સૈયદ મીડિયા સાથે વાતચીત દરમિયાન સવાલોથી બચતા નજરે પડ્યા હતા. ફોર્મ ભર્યું હોવા છતાં તેઓ કોંગ્રેસના કાર્યકર અને સભ્ય હોવાનું રટણ કરી રહ્યા હતા, જેનાથી અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે.
Read Original Article →