ખડગેના ગુજરાતીઓ પરના નિવેદનનો રાજ્યભરમાં વિરોધ:ભરૂચમાં ભાજપના મૌન ધરણા, માફીની માંગ કરાઈ

Gujarat4/8/2026, 6:56:10 AM
ખડગેના ગુજરાતીઓ પરના નિવેદનનો રાજ્યભરમાં વિરોધ:ભરૂચમાં ભાજપના મૌન ધરણા, માફીની માંગ કરાઈ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેના ગુજરાતીઓ અંગેના વિવાદિત નિવેદન બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. આ નિવેદનને કારણે રાજકીય ગરમાવો વધ્યો છે. ગુજરાતીઓ અભણ હોવાના ખડગેના નિવેદનના વિરોધના ભાગરૂપે, ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના પાંચબતી વિસ્તારમાં મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખડગેના નિવેદનની સખત નિંદા કરી હતી. ધરણામાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ઉપ પ્રમુખ નિરલ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શહેર પ્રમુખ જતીન શાહ અને માજી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જોડાયા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પાવન ભૂમિનું અપમાન ગુજરાત ક્યારેય સહન નહીં કરે. ભાજપના આગેવાનોએ માંગ કરી હતી કે મલ્લિકાઅર્જુન ખડગે પોતાના નિવેદન બદલ તમામ ગુજરાતીઓ પાસે જાહેર માફી માંગે. આ મુદ્દે રાજ્યભરમાં રાજકીય તણાવ વધવાની શક્યતા છે. હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે આ નિવેદનની રાજકીય અસરો જોવા મળી શકે છે.
Read Original Article →