ઈકબાલગઢમાં ભંગારના ગોડાઉનમાં આગ:સ્થાનિકોએ કાબુ મેળવ્યો, ફાયર સુવિધાના અભાવથી મોટું નુકસાન
બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢમાં વહેલી સવારે એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. સ્થાનિકો અને ગોડાઉનના માલિકે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ગોડાઉનને મોટું નુકસાન થયું છે. આગ આજે વહેલી સવારે અચાનક અગમ્ય કારણોસર લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. ગોડાઉન રહેણાંક વિસ્તારમાં આવેલું હોવાથી આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક ગોડાઉન માલિકને જાણ કરી હતી. માલિક ઘટનાસ્થળે પહોંચ્યા બાદ સ્થાનિક લોકોની મદદથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સતત પ્રયત્નો બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આ આગને કારણે ગોડાઉનના માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે. અમીરગઢ તાલુકામાં ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાને કારણે આગના બનાવોમાં લોકોને વારંવાર મોટું નુકસાન ભોગવવું પડે છે. સ્થાનિક લોકો દ્વારા લાંબા સમયથી અમીરગઢ તાલુકામાં ફાયર બ્રિગેડની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી રહી છે. તેમની દલીલ છે કે ફાયર સુવિધા હોવાથી આગના બનાવોમાં નુકસાન ઘટાડી શકાય અને આગ પર ઝડપથી કાબુ મેળવી શકાય.
Read Original Article →