દાંતીવાડાના ઝાત ગામમાં ગેરકાયદેસર ખનન સામે ગ્રામજનોનો વિરોધ:ખનન માફિયાઓએ ડમ્પરની ટક્કર મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો આક્ષેપ; કલેક્ટરને આવેદન પાઠવ્યું
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના ઝાત ગામના ગ્રામજનોએ આજે જિલ્લા કલેક્ટર કચેરીએ ગેરકાયદેસર ખનન અને એક યુવકના મોત મામલે રજૂઆત કરી હતી. ગ્રામજનોએ ખનન માફિયાઓ પર યુવકની હત્યાનો આરોપ લગાવ્યો છે. ગ્રામજનોના જણાવ્યાં અનુસાર, એક સપ્તાહ અગાઉ ડમ્પરની ટક્કરે દિનેશ મોનાભાઈ રાજગોર નામના યુવકનું મોત થયું હતું. આ યુવકે થોડા દિવસો પહેલા ગામ નજીકથી પસાર થતી સીપુ નદીમાં થતા ગેરકાયદેસર ખનન અંગે તંત્રને મેઈલ દ્વારા જાણ કરી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે, ખનન માફિયાઓએ ડમ્પરની ટક્કર મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે. ગ્રામજનોએ ગેરકાયદેસર ખનન રોકવા અને ગામમાંથી પસાર થતા ડમ્પરોના માર્ગ બદલવાની માંગ કરી છે. તેઓએ ખનન માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહીની પણ અપીલ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં બનાસ સહિત સીપુ નદીમાં રેતી માટે લીઝો ફાળવવામાં આવી છે. જોકે, આ લીઝોમાં મોટાભાગના ખનન માફિયાઓ રોયલ્ટીની ચોરી કરતા હોવાના બનાવો અવારનવાર સામે આવે છે. ઝાત ગામ નજીક સીપુ નદીમાં પણ લીઝધારકો રોયલ્ટી ચોરી કરતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા, ઝાત ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં પાલનપુર પહોંચ્યા હતા. તેઓએ પાલનપુરના કોઝી વિસ્તારમાંથી રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો સાત દિવસમાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાય, તો ઝાત સહિત આસપાસના ચારથી પાંચ ગામના લોકો એકત્રિત થઈ રસ્તા રોકો સહિત આંદોલનના માર્ગે વળશે. ગામ આગેવાન ભરત રાજગોરે જણાવ્યું હતું કે, અમારા ગામના એક યુવકનું મોત થયું છે તેને પગલે અમે આજે કલેક્ટર કચેરીએ આવ્યાં છીએ. ખનીજ માફિયાઓ વિરૂદ્ધની 10 જેટલી અરજી ખનીજ વિભાગની ઓફિસમાં પેન્ડિંગ પડી છે, પણ આ લોકો ધ્યાન આપતા નથી. એના કારણે આજે અમારા ગામને બહુ મોટું નુકસાન થયું છે. અમે સરપંચને પૂછ્યું કે, લીઝ કેટલી ઊંડાઈ સુધી કરવી? તો તેઓએ જવાબ આપ્યો છે કે 3 ફૂટ સુધી. પણ અત્યારે ખાડા 30-30 ફૂટના પડ્યા છે. શું આ ખનીજ ઓફિસ આની તપાસ કરશે? અમારી ખાસ વિનંતી છે કે, તાત્કાલિક ધોરણે ખાડા માપી અને કાર્યવાહી કરવી. આ અંગે ગામના આગેવાન ગણપત રાજગોરે જમાવ્યું હતું કે, આ સીપુ નદીમાં ગેરકાયદેસર આડેધડ ખનન થઈ રહ્યું છે. સરકારની રોયલ્ટીની ભયંકર ચોરી થઈ રહી છે, છતાં પણ કોઈ પગલા લેવામાં આવ્યાં નથી. ખનીજ વિભાગની મિલીભગતથી આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે એક યુવાને વિભાગમાં મેલ કર્યો હતો. જે યુવાનને, ગાડીની ટક્કર મારી અને મારી નાખવામાં આવ્યો છે. ખનીજ માફિયાઓ અને લીઝ હોલ્ડર્સ છે, એ લોકોની સાથે સીધો કોન્ટેક્ટ કે લેતી-દેતીના સંબંધોના લીધે આ પરિણામ આવ્યું છે. અમારી માંગ છે કે, ગેરકાયદેસર જે ખનન થઈ રહ્યું છે, એનો પૂરેપૂરો સર્વે કરી અને ખનીજ માફિયાને પૂરેપૂરો દંડ વસૂલ કરવામાં આવે, ગેરકાયદેસર ચાલતી લીઝો બંધ કરવામાં આવે અને એમના સામે યોગ્ય પગલાં લઈ અને એની પૂરી તપાસ કરવામાં આવે. જો અમારી માંગ નહીં સ્વીકારે, તો આજુબાજુના ગામ લોકો સાથે અમે કલેક્ટરની ઓફિસે ધરણા પર બેસીશું. ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રીત સિંહે જણાવ્યું કે, આ અંગે કમ્પ્લેન આવી હતી એના માટે અમે 5 જૂનના રોજ ટીમ મોકલી હતી, જેમાં મેઝરમેન્ટ થઈ ગયું છે. આજે ફરી ગામલોકો આવ્યાં હતા તો એના માટે અમે ફરી બીજી ટીમ કાલે મોકલી રહ્યા છીએ. એમને સાથે રાખીને ફરીથી માપણી કરાવીશું. જે પણ હશે આમાં નિષ્પક્ષ તપાસ થઈને કાર્યવાહી કરીશું. યુવકનો જે મેઈલ આવ્યો હતો, એ કલેક્ટર પાસેથી મારી પાસે આવ્યો હતો અને અમે એના પર તરત જ એક્શન લીધું છે. ટીમ મોકલીને ત્યાં કાર્યવાહી પણ કરી છે. અમારી કેટલીક બ્લોક અમે આપેલી છે, જે હમણાં રિસેન્ટલી ચાલુ થઈ છે.
Read Original Article →