36 વર્ષથી ફરાર આરોપી ઇકબાલગઢથી ઝડપાયો:બનાસકાંઠા રેન્જ પોલીસે અમીરગઢ ગુનામાં પકડ્યો
બનાસકાંઠા રેન્જ પોલીસે અમીરગઢ પોલીસ સ્ટેશનના એક ગુનામાં છેલ્લા 36 વર્ષથી ફરાર આરોપીને ઇકબાલગઢ ખાતેથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (IPS)ની સૂચનાના આધારે કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (IPS), બનાસકાંઠા રેન્જ પાલનપુરે રેન્જ વિસ્તારમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવાની સૂચના આપી હતી. આ સૂચનાના અનુસંધાનમાં પોલીસ સ્ટાફ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસ.જે. પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બનાસકાંઠા રેન્જના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે આ કાર્યવાહી કરી હતી. આરોપી અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ 279, 337, 338 તથા એમ.વી. એક્ટ કલમ 177, 184 હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર હતો. બાતમીના આધારે, આરોપી શંકરસિંહ તેજસિંહ રાજપૂત (ભાટી), ઉંમર 57 વર્ષ, રહે. જપૂતોનો વાસ, મલાર, ભોપાલગઢ, જિ. જોધપુર, રાજસ્થાનવાળાને પકડી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીને વધુ કાર્યવાહી માટે અમીરગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
Read Original Article →