સાઠંબાના બાદરપુરામાં પુલ માટે ચૂંટણી બહિષ્કાર:ગાબટ રસ્તા પર વાંઘા પર પુલ નહીં તો વોટ નહીંનું એલાન

Gujarat4/7/2026, 3:06:59 AM
સાઠંબાના બાદરપુરામાં પુલ માટે ચૂંટણી બહિષ્કાર:ગાબટ રસ્તા પર વાંઘા પર પુલ નહીં તો વોટ નહીંનું એલાન
સાઠંબા તાલુકાના બાદરપુરા ગામના રહીશોએ ગાબટ જવાના રસ્તે આવેલા 'વાંઘા' પર પુલ બનાવવાની માંગ સાથે ચૂંટણી બહિષ્કારનું એલાન આપ્યું છે. ગ્રામજનોએ "પુલ નહીં તો વોટ નહીં"ના સૂત્રોચ્ચાર સાથે તંત્ર સમક્ષ પોતાની રજૂઆત કરી છે. બાદરપુરા સહિત આસપાસના આઠથી દસ ગામોના લોકોની અવરજવર બાદરપુરા ગામે આવેલા આ 'વાંઘા' પરથી થાય છે. આ પંથકના લોકોને પોતાના કામકાજ અર્થે, વિદ્યાર્થીઓને શાળા-કોલેજ જવા, ખેડૂતોને ખેતીકામ માટે, તેમજ બીમાર દર્દીઓ સહિત તમામ ગ્રામજનોને દૈનિક ધોરણે ગાબટ જવું પડે છે. ચોમાસા દરમિયાન આ 'વાંઘુ' પાણીથી ભરાઈ જાય છે, જેના કારણે દસથી વધુ ગામોના લોકો સંપર્ક વિહોણા બની જાય છે. આ પરિસ્થિતિમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક અગ્રણીઓએ આ અંગે અનેક વખત તંત્રમાં રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા ગ્રામજનોની વાતને ધ્યાને લેવામાં આવી નથી. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે ગ્રામજનોએ બાદરપુરા ગામે આવેલા 'વાંઘા'માં ઊભા રહી સૂત્રોચ્ચાર કરીને પુલની માંગ કરી છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની પુલ બનાવવાની માંગ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે.
Read Original Article →