મોડાસામાં ચામુંડા માતાજીનો પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી:મોડાસા,મોહનપુર અને બાયડ પરગણાના હજારો ભક્તો ઉમટ્યા
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ચામુંડા માતાજીનો પ્રથમ પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. મોડાસા, મોહનપુર અને બાયડ પરગણા સહિત હજારો ભક્તો આ પવિત્ર અવસરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમ મોડાસાના હિંમતનગર રોડ પર આવેલા દૂધેશ્વરી માતાજી મંદિરમાં સ્થિત ચામુંડા માતાજીના ધામે યોજાયો હતો. આ મંદિર, જે આજે હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે, તેની સ્થાપના વર્ષ 2025માં 108 કુંડી મહા યજ્ઞ અને ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા દ્વારા કરવામાં આવી હતી. અક્ષર પરિવાર યુવક મંડળ તેમજ અક્ષર પરિવાર પંચ મોડાસા, મોહનપુર અને બાયડના સહયોગથી આ પવિત્ર કાર્ય સાકાર થયું હતું. પાટોત્સવના પાવન અવસરે દૂધેશ્વરી માતાજી મંદિર સબલપુરના પૂજારી અને સમાજના ગોર રાકેશકુમાર પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞકુંડમાંથી ઉઠતી અગ્નિ જ્વાળાઓથી વાતાવરણ આધ્યાત્મિક બન્યું હતું. મોડાસા, મોહનપુર અને બાયડના ત્રણ પરગણાના મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા. નાનાથી લઈને વૃદ્ધ સુધીના શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. મંદિર પરિસરમાં આરતી સાથે ભક્તિનો માહોલ સર્જાયો હતો અને "જય માતાજી"ના નાદ ગુંજી ઉઠ્યા હતા. આ પ્રસંગે રાસ-ગરબા અને ભક્તિ સંગીતના કાર્યક્રમો પણ યોજાયા હતા. આ ઉપરાંત, મહાપ્રસાદનું પણ વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી. સેવાભાવી કાર્યકરો અને યુવક મંડળના સભ્યો દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે આખો કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો. ભક્તોની અખૂટ આસ્થા છે કે માં ચામુંડા માતાજી દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. આ જ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પ્રથમ પાટોત્સવને ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવ્યો. આ પાવન પ્રસંગે મોડાસા શહેર ભક્તિમાં તરબોળ થઈ ગયું હતું અને સમગ્ર વિસ્તારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
Read Original Article →