મોડાસાના અણદાપુરમાં વાવાઝોડાથી મકાનોના છાપરા ઉડ્યા:કેટલાક વૃક્ષો ધરાશાયી, અનેક પરિવારો મુશ્કેલીમાં; ગ્રામજનોએ વળતરની માંગ કરી
અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે આવેલા વાવાઝોડાએ વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. મોડાસા તાલુકાના અણદાપુર ગામે અનેક મકાનોના છાપરા ઉડી ગયા હતા. આ ઉપરાંત, વૃક્ષો ધરાશાયી થયા હતા અને એક ગાયને ઈજા થઈ હતી. અણદાપુર ગામમાં મકાનોના પતરા ઉડી જતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. એક ઘર આગળ લીમડો પડતાં એક ગાયને ઈજા પહોંચી હતી. વાવાઝોડાના કારણે હોર્ડિંગ્સ અને અન્ય વૃક્ષોને પણ નુકસાન થયું છે. ગામના વતની નવા બામણિયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે આશરે સાડા દસ વાગ્યે વાવાઝોડું આવ્યું હતું. જેના કારણે તેમના ભાઈના ઘરના પતરા ઉડી ગયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, બાજુના ગામમાં પણ કેટલાક મકાનોના છાપરા ઉડ્યા હતા અને એક ભેંસ પર છાપરું પડતાં તેને પણ ઈજા થઈ હતી. આશરે ચાલીસ હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, છેલ્લા બે દિવસથી અરવલ્લી જિલ્લામાં વાવાઝોડા અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પણ પડ્યો હતો. આ નુકસાન અંગે ગ્રામજનોએ તંત્ર પાસે વળતર ચૂકવવાની માંગ કરી છે.
Read Original Article →