આણંદ મનપામાં કોણ બનશે મેયર?:આજે થશે તમામ પદાધિકારીઓના નામની જાહેરાત; જુઓ મનપામાં મેયર-ડે.મેયર ને સ્ટેન્ડિંગ ચેરમેનના સંભવિત નામ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 15 મનપામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, પરંતુ હવે 'મેયર' પદ માટે ખરો ખેલ શરૂ થયો છે. રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. આજે બીજા તબક્કાવારમાં આણંદ મનપામાં મેયર, ડેપ્યુટી મેયર સહિત પાંચ મુખ્ય હોદ્દેદારના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત બેઠક નક્કી આણંદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ હવે પ્રથમ ટર્મના પદાધિકારીઓની વરણી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આગામી દિવસોમાં આણંદ મનપાના મેયર, ડેપ્યુટી મેયર અને કારોબારી ચેરમેનના નામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. મેયર પદ માટે સામાન્ય મહિલા કોર્પોરેટરની બેઠક અનામત રાખવામાં આવી હોવાથી અગ્રણી મહિલા કોર્પોરેટરોના નામો મોખરે ચાલી રહ્યા છે, જેની સાથે જ ડેપ્યુટી મેયર અને કારોબારી ચેરમેન જેવા મહત્વના પદો માટે પણ અનુભવી સભ્યોના નામોની ચર્ચાએ જોર પકડ્યું છે. મુખ્યત્વે 3 મહિલા કોર્પોરેટરના નામ સૌથી વધુ ચર્ચામાં મહાનગરપાલિકાના સર્વોચ્ચ એવા મેયર પદ માટે સામાન્ય મહિલાની બેઠક નક્કી થતાં જ શાસક પક્ષમાં દાવેદારોની યાદી લાંબી થઈ છે. હાલમાં મુખ્યત્વે 3 મહિલા કોર્પોરેટરના નામ સૌથી વધુ ચર્ચામાં જોવા મળી રહ્યા છે. જેમાં વોર્ડ નંબર 2ના કોર્પોરેટર દિપીકાબેન પટેલનું નામ મોખરે છે. તેમની સાથે જ કરમસદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને ઉપપ્રમુખ રહી ચૂકેલા અને હાલમાં વોર્ડ નંબર 10માંથી ચૂંટાયેલા કૃતિકા પટેલનું નામ પણ રેસમાં હોવાનું મનાઈ રહ્યું છે. આ ઉપરાંત આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને પૂર્વ પાલિકા પ્રમુખ તરીકે વહીવટી અનુભવ ધરાવતા વોર્ડ નંબર 12ના કોર્પોરેટર રૂપલબેન વાનીશ પટેલના નામ અંગે પણ ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે. સંગઠન-વહીવટમાં પકડ ધરાવતા ચહેરાઓની શોધખોળ મેયર પદની સાથે સાથે ડેપ્યુટી મેયર પદ માટે પણ સંગઠન અને વહીવટમાં પકડ ધરાવતા ચહેરાઓની શોધખોળ ચાલી રહી છે. સ્થાનિક સ્તરે ચર્ચાતા નામો મુજબ વોર્ડ નંબર 12ના કોર્પોરેટર મહેન્દ્રસિંહ સોલંકીનું નામ આ રેસમાં આગળ ચાલી રહ્યું છે. તેમની સામે બીજા પ્રબળ દાવેદાર તરીકે વોર્ડ નંબર 13ના કોર્પોરેટર કેતન બારોટનું નામ પણ ચર્ચામાં છે, જેઓ અગાઉ આણંદ નગરપાલિકામાં રોડ સમિતિના ચેરમેન તરીકે કામગીરી કરી ચૂક્યા છે અને બાંધકામ ક્ષેત્રના કાર્યોનો વહીવટી અનુભવ ધરાવે છે. મહાનગરપાલિકાની આર્થિક અને નીતિવિષયક બાબતોમાં મહત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેન પદ માટે પણ સંગઠનના મજબૂત નેતાઓની પસંદગી કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. કારોબારી ચેરમેન પદ માટે મુખ્યત્વે 2 નામો રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા છે. જેમાં આણંદ શહેરના પૂર્વ મહામંત્રી રહી ચૂકેલા અને હાલ વોર્ડ નંબર 6ના કોર્પોરેટર સ્વપ્નિલ દિનુભાઈ પટેલનું નામ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. વળી, તેમની સામે આણંદ શહેરના પૂર્વ પ્રમુખ તરીકે સંગઠનમાં લાંબો સમય કામ કરી ચૂકેલા એચ કે પટેલ એટલે કે, હરેકૃષ્ણ પટેલનું નામ પણ હરીફાઈમાં છે. નવી રચાયેલી મહાનગરપાલિકામાં પ્રથમ વરણી હોવાથી પક્ષ હાઈકમાન્ડ દ્વારા જ્ઞાતિ સમીકરણો, ભૌગોલિક વિસ્તાર અને વહીવટી અનુભવને ધ્યાનમાં રાખીને જ આખરી મહોર મારવામાં આવશે. સામાન્ય રીતે આવી મહત્વની વરણીઓમાં પૂર્વ પાલિકા પ્રમુખો અને સંગઠનના પૂર્વ હોદ્દેદારોને તેમની જૂની કામગીરી અને લોકપ્રિયતાના આધારે પ્રાધાન્ય મળતું હોય છે, જે આ નામોની યાદી જોતાં સ્પષ્ટ જણાઈ આવે છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ બોર્ડની બેઠકમાં આ તમામ નામો પર સત્તાવાર મહોર મારીને પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આગામી દિવસોમાં પક્ષના મોવડી મંડળ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા અને આંતરિક બેઠકોનો દોર પૂર્ણ કરીને ગમે તે ક્ષણે આ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે, જેને પગલે તમામ દાવેદારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
Read Original Article →