આણંદમાં જિલ્લા સંકલન બેઠક યોજાઈ:કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પ્રજાના પ્રશ્નોના નિકાલ પર ભાર મૂક્યો
આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં માર્ગ-મકાન, પાણી પુરવઠા, વીજળી, આરોગ્ય, દબાણ દૂર કરવાની કામગીરી, કાંસ સફાઈ, સ્ટ્રીટ લાઈટ અને પશુ દવાખાનાં સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કલેક્ટરે સંબંધિત વિભાગોના અધિકારીઓને નાગરિકોના પડતર પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય નિરાકરણ લાવવા સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને પુલ અને રસ્તાઓના સમારકામ, પ્રાથમિક આરોગ્ય સેવાઓ, પશુ દવાખાનાં, વીજ ઓવરલોડ, જોખમી વીજ થાંભલાઓ દૂર કરવા તથા પીવાના પાણી સંબંધિત પ્રશ્નોમાં સકારાત્મક અભિગમ અપનાવી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલ-ડીઝલ બચત અને વર્ચ્યુઅલ માધ્યમના વધુ ઉપયોગ અંગેની અપીલને ધ્યાનમાં રાખીને, જિલ્લાના મોટાભાગના વિભાગીય અધિકારીઓ ઓનલાઈન માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્યો ચિરાગ પટેલ, યોગેશ પટેલ અને હર્ષદ પરમાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →