શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ:આણંદ કલેક્ટર કચેરીમાં ચૂંટણી શાખા રાઉન્ડ ધ ક્લોક કાર્યરત
આણંદ જિલ્લામાં 111 ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થતાં આચારસંહિતા અમલમાં આવી છે. આને કારણે આણંદ કલેક્ટર કચેરીના ત્રીજા માળે આવેલી ચૂંટણી શાખા સામાન્ય દિવસોની સરખામણીમાં હાલ ચોવીસ કલાક અને જાહેર રજાના દિવસોમાં પણ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીથી ધમધમી રહી છે. ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે 23 એપ્રિલે મતદાન યોજાશે. આ ચૂંટણી શાંતિપૂર્ણ અને સરળતાથી સંપન્ન થાય તેમજ વધુમાં વધુ મતદાન થાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આ ચૂંટણી શાખા કાર્યરત છે. ચૂંટણી શાખા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, ઉમેદવારો, નાગરિકો અને ચૂંટણી તંત્ર વચ્ચેની એક મહત્વપૂર્ણ કડી છે. આણંદ કલેક્ટર કચેરીના ત્રીજા માળે આવેલી આ જિલ્લા ચૂંટણી શાખામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછૂનની દેખરેખ હેઠળ એક મામલતદાર, ત્રણ નાયબ મામલતદાર, બે ક્લાર્ક, બે ઓપરેટર અને બે પટાવાળા સહિતનો સ્ટાફ જાહેર રજાઓ અને સામાન્ય દિવસોમાં મોડી રાત સુધી કામ કરી રહ્યો છે. આ શાખા ચૂંટણી સંબંધિત રેકોર્ડની જાળવણી, મતપેટીઓ, EVM, બેલેટ પેપર અને અન્ય ચૂંટણી સામગ્રીનું વ્યવસ્થાપન કરે છે. તેમાં નોડલ અધિકારીઓ, મતદાન અધિકારીઓ, પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરો સહિતના ચૂંટણી સ્ટાફની નિમણૂક, ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય નિર્વાચન અધિકારીને જરૂરી અહેવાલો મોકલવા, ચૂંટણીલક્ષી તાલીમ આપવી અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર ન્યાયી તથા નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવું જેવી કામગીરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિવિધ નોડલ અધિકારીઓ સાથે સંકલન સાધવામાં આવે છે અને નિયમિત બેઠકો યોજાય છે. MCMC સેન્ટરના સહયોગથી પેઈડ ન્યૂઝ પર નજર રાખી કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ મતદાન જાગૃતિ (SVEEP) કામગીરીને પણ વેગ આપવામાં આવી રહ્યો છે.
Read Original Article →