ગીરમાં સિંહોના શંકાસ્પદ મોત મુદ્દે DCFની FB પોસ્ટથી વિવાદ:રિપોર્ટ પહેલા જ વાઈરસ હોવાનું સ્વીકાર્યું!, નિવૃત જજે રિ પોસ્ટ કરી લખ્યું-મતલબ કે ગીરમાં 'વાઈરસ' તો હતો જ

Gujarat6/6/2026, 8:30:54 AM
ગીરમાં સિંહોના શંકાસ્પદ મોત મુદ્દે DCFની FB પોસ્ટથી વિવાદ:રિપોર્ટ પહેલા જ વાઈરસ હોવાનું સ્વીકાર્યું!, નિવૃત જજે રિ પોસ્ટ કરી લખ્યું-મતલબ કે ગીરમાં 'વાઈરસ' તો હતો જ
ગીર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં 8થી વધુ સિંહોના શંકાસ્પદ મોત બાદ આ મુદ્દો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો હતો. મૃત સિંહોના સેમ્પલ લેવાયા હતા અને કેટલાક સિંહોને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા હતા. રાજ્યના વનપ્રધાન અર્જુન મોઢવાડિયાએ વાયરસ ન હોવાનો દાવો કર્યો છે, જોકે સેમ્પલના રિપોર્ટ હજુ આવ્યા નથી. આ બધા વચ્ચે, ધારી ગીર પૂર્વના વન અધિકારી (DCF)ની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને નવો વિવાદ ઊભો થયો છે. DCF ફેસબુક પેજ પર પોસ્ટ કરી ધારી ગીર પૂર્વ DCF વિકાસ યાદવના સત્તાવાર ફેસબુક પેજ પર કરવામાં આવેલી એક પોસ્ટમાં લખ્યું હતું કે, "ગીરમાં વાયરસ બાદ સિંહ પરિવારના દર્શન: ખાપટ ગામ નજીક તંદુરસ્ત પાંચ સિંહ આરામ ફરમાવતા જોવા મળ્યા, વન વિભાગે લીધો રાહતનો શ્વાસ." આ પોસ્ટમાં ગીરમાં વાયરસની હાજરીનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. હજુ સુધી રાજ્ય સરકાર કે વનવિભાગે સિંહોના મોતના ચોક્કસ કારણો કે રિપોર્ટ જાહેર કર્યા નથી, તેવામાં એક જવાબદાર સરકારી અધિકારીના સત્તાવાર પેજ પરથી આવી પોસ્ટ થતાં જ વનવિભાગના સિનિયર અધિકારીઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હોવાની ચર્ચા છે. નિવૃત જજ જયદેવ ધાધલે રિ પોસ્ટ કરી આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે પર્યાવરણ નિષ્ણાંત અને જાણીતા સિંહપ્રેમી નિવૃત જજ જયદેવ ધાધલની નજર આ પોસ્ટ પર પડી. તેમણે આ પોસ્ટ પર રિ પોસ્ટ કરી હતી. જેમાં નિવૃત જજે પોસ્ટ પર લખ્યું હતું કે, મતલબ કે ગીરમાં 'વાઈરસ' તો હતો જ... આપણે સૌ જાણીએ જ છીએ કે બેબેસિયા એ વાઈરસ નથી. વિવાદ બાદ આખરે DCFએ પોસ્ટ ડિલીટ કરી નિવૃત જજની આ રિ પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં આ પોસ્ટના સ્ક્રીનશોટ વાયરલ થઈ ગયા હતા. વિવાદ બાદ આખરે DCFએ પોતાની ફેસબુક પોસ્ટ તાત્કાલિક ડિલીટ કરી હતી. જેનાથી આ મામલે વધુ ચર્ચા શરૂ થઈ છે. અગાઉ વનમંત્રીએ વાયરસની પુષ્ટિ ન થઈ હોવાનું નિવેદન આપ્યું મહત્વની બાબત એ છે કે, રાજ્ય સરકાર દ્વારા મૃત સિંહોના સેમ્પલ લેવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી કોઈ સત્તાવાર લેબોરેટરી રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. બીજી તરફ, વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ અગાઉ વાયરસની પુષ્ટિ ન થઈ હોવાનું નિવેદન આપ્યું હતું. આ દરમિયાન DCFના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી થયેલી પોસ્ટ અને સરકારના નિવેદન વચ્ચે વિરોધાભાસ જોવા મળતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં પણ નારાજગી વ્યાપી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે દિવ્ય ભાસ્કરની ટીમે ધારી ગીર પૂર્વ ડિવીજનના DCF વિકાસ યાદવનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. ‘સિંહોના મૃત્યુ ક્યાં કારણે થયા તેનો મેડિકલ રિપોર્ટ જાહેર કરવામાં આવે’ સિંહ પ્રેમી મયંક ભટ્ટે જણાવ્યું હતું કે, એક બાજુ સિંહોમાં વાયરસ હોવાની કબૂલાત ધારી ગીર પૂર્વના DCFના સોશિયલ મીડિયા હેન્ડલ પર કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ વન મંત્રી કહી રહ્યા છે કે, સિંહોમાં કોઈ વાયરસ નથી. તો ખરેખર હકિકત શું છે તે વન્યપ્રેમીઓ જાણવા માગે છે. સિંહોના મૃત્યુ ક્યાં કારણે થયા છે તેનો મેડિકલ રિપોર્ટ જાહેર કરવામાં આવે તેવી અમારી માંગ છે. વન વિભાગ અને વન મંત્રી વચ્ચેના વિરોધાભાસી નિવેદનો વન્ય પ્રેમીઓમાં શંકા ઉત્પન્ન કરી રહ્યા છે. આ બાબતમાં વન વિભાગ પારદર્શિતા રાખે તે ખૂબ જરૂરી છે. સિંહોના મૃત્યુ પર સોશિયલ મીડિયા પર જે રાજકારણ રમાઈ છે તે હવે બંધ થવું જોઈએ. 8થી વધુ સિંહના શંકાસ્પદ મોત થયા હતા ઉલ્લેખનીય છે કે, ગીર પશ્ચિમ રેન્જની બાબરીયા અને પૂર્વની જસાધાર રેન્જમાં સિંહોમાં 8થી વધુ સિહોના મોત થયા હતા. સિંહોમાં બેબેસિયા અને સીવીડી વાયરસની આશંકા વ્યક્ત કરાઈ હતી. આ ઘટનાની ગંભીરતા દિલ્હી સુધી પહોંચી હતી અને રાજ્યના વન મંત્રીએ પણ જામવાળા અને જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. ગર્ભવતી સિંહણના મોત બાદ સ્થાનિક ફોરેસ્ટરની બદલી અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝન સતત વિવાદમાં આવી રહ્યું છે. તાજેતરમાં જ સરસિયા રેન્જના લુવારિયા વિસ્તારમાં એક ગર્ભવતી સિંહણનું મોત થયું હતું. વનવિભાગની બેદરકારીથી સિંહણનું મોત થયાના આરોપ લાગ્યા હતા. આ મામલે પ્રાથમિક તપાસ બાદ સ્થાનિક ફોરેસ્ટર ચેતન ઘેવરિયાને પાલીતાણા રેપિડ ખાતે બદલી કરવામાં આવી છે. જૂનાગઢ સર્કલના મુખ્ય વન સંરક્ષક (CF) રામરતન નાલાએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તપાસ દરમિયાન ફોરેસ્ટર ધારીથી અપ-ડાઉન કરતા હોવાથી પેટ્રોલિંગમાં બેદરકારી થઈ હોવાનો ખુલાસો થયો છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) 17માંથી 11 સિંહ જંગલમાં મુક્ત કરાયા, 6 સારવાર હેઠળ જસાધાર એનિમલ કેર સેન્ટર પરથી 4 સિંહને જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે એક માદા અને બે સિંહબાળ હજુ સારવાર હેઠળ છે. તેવી જ રીતે, જામવાળા એનિમલ કેર સેન્ટર પરથી પણ 7 સિંહને જંગલમાં છોડી દેવામાં આવ્યા છે, જ્યારે બે નર અને એક સિંહબાળ સારવાર હેઠળ છે. આમ, કુલ 11 સિંહને મુક્ત કરાયા છે અને 6 સિંહ (2 નર, 1 માદા, 3 સિંહબાળ) સારવાર હેઠળ છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
Read Original Article →