અમરેલીમાં ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ સફાઈ ઝુંબેશનો પ્રારંભ કર્યો:"સ્વચ્છ ગુજરાત" અભિયાન શરૂ કર્યું, કાર્યકરો સાથે 'ચાય પે ચર્ચા' પણ કરી
અમરેલીમાં ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ "સ્વચ્છ ગુજરાત-પ્લાસ્ટિક મુક્ત ગુજરાત" અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ ઝુંબેશ અંતર્ગત તેમણે અને અન્ય હોદ્દેદારોએ એસ.ટી. બસ સ્ટેન્ડ વિસ્તાર, જાહેર માર્ગો અને સોસાયટીની ગલીઓમાં શ્રમદાન કર્યું. અમરેલી નગરપાલિકા દ્વારા આ વિશાળ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના કાયદો, ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે મોટા બસ સ્ટેન્ડ વિસ્તાર ખાતે સવારે આ કાર્યક્રમનો શુભારંભ થયો. શહેરમાં વિવિધ મહાનુભાવોની પ્રતિમાઓની પણ સફાઈ કરવામાં આવી. રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ પોતે હાથમાં ઝાડુ લઈને ઉત્સાહપૂર્વક સફાઈ કરી હતી. તેમણે જિલ્લાના નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા પ્રેરણા આપતા કહ્યું કે, 'સ્વચ્છતા એ આપણી સામૂહિક જવાબદારી છે. આવનારી પેઢીના સારા ભવિષ્ય માટે દરેક નાગરિકે "સ્વચ્છતા હી સેવા" અભિયાનમાં સક્રિયપણે જોડાવા આગળ આવવું જોઈએ.' સફાઈ ઝુંબેશ બાદ મંત્રી કૌશિક વેકરીયાએ કાર્યકરો સાથે 'ચાય પે ચર્ચા' પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સવારે તેઓ અમરેલી શહેરમાં લોન ટેનિસ રમતા પણ જોવા મળ્યા હતા, ત્યારબાદ તેમણે આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો.
Read Original Article →