CM ભૂપેન્દ્ર પટેલે કાફલામાં કર્યો ધરખમ ઘટાડો:PMની અપીલને માન આપી માત્ર 2 કારમાં રાજુલા પહોંચ્યા, હર્ષ સંઘવી નહીં જાય અમેરિકા, રાજ્યપાલ કરશે બસ અને ટ્રેનમાં મુસાફરી

Gujarat5/13/2026, 3:19:32 AM
CM ભૂપેન્દ્ર પટેલે કાફલામાં કર્યો ધરખમ ઘટાડો:PMની અપીલને માન આપી માત્ર 2 કારમાં રાજુલા પહોંચ્યા, હર્ષ સંઘવી નહીં જાય અમેરિકા, રાજ્યપાલ કરશે બસ અને ટ્રેનમાં મુસાફરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઇંધણનો જરૂર પૂરતો ઉપયોગ કરવા આપવામાં આવેલા સંદેશ બાદ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા હવે માત્ર CM અને DyCMને જ કોન્વોય સુવિધા આપવામાં આવશે, જ્યારે અન્ય તમામ મંત્રીઓને નોન કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. સાથે જ રાજ્યપાલ પણ હવે પોતાની દરેક યાત્રા ST બસ અને ટ્રેનમાં કરશે. તો આવો જાણીએ કોન્વોય સિવાય કયા નેતા-મંત્રીઓની કઈ સુવિધાઓમાં ફેરકાર કે ઘટાડો થયો છે. પેટ્રોલ-ડીઝલની બચત, ટ્રાફિક વ્યવસ્થામાં સરળતા અને સરકારી ખર્ચ ઘટાડવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સરકારના આ પગલાને સાદગી અને સંસાધનોના સંયમિત ઉપયોગ તરફના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી માત્ર 2 કારના કાફલા સાથે અમરેલી પહોંચ્યા અમરેલી જિલ્લાના રાજુલા ખાતે ₹22 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક 108 બેડની હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કરવા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'વીઆઈપી કલ્ચર' ઘટાડવાની અપીલને અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે. સામાન્ય રીતે 10થી વધુ વાહનોના લશ્કરી કાફલા સાથે ફરતા મુખ્યમંત્રીએ શિસ્તનું ઉદાહરણ પૂરું પાડતા માત્ર બે જ કાર સાથે રાજુલા પહોંચીને સૌને ચોંકાવી દીધા હતા. રાજ્યપાલ હવે ST બસ અને ટ્રેનમાં મુસાફરી કરશે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પર્યાવરણ જાળવણી અને ઈંધણ બચતના ઉમદા હેતુથી એક પ્રેરણાદાયી નિર્ણય લીધો છે, જે અંતર્ગત તેઓ હવે હેલિકોપ્ટર કે વિમાન સેવાના બદલે ST બસ અને ટ્રેનમાં મુસાફરી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલને પ્રતિસાદ આપતા રાજ્યપાલે પોતાના કાફલામાં પણ ગાડીઓની સંખ્યા ન્યૂનતમ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ તેમણે નાગરિકોને પણ પ્રદૂષણ ઘટાડવા માટે સાયકલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) નો મહત્તમ ઉપયોગ કરવા ખાસ અનુરોધ કર્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો મે મહિનાના છેલ્લા સપ્તાહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએ (FOGAUSA) દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા. જોકે વડાપ્રધાનની એક વર્ષ માટે વિદેશ પ્રવાસો ટાળવાની અપીલને અનુસરીને તેમણે આ પ્રવાસ રદ કર્યો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશની આર્થિક આત્મરક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી તમામ અપીલમાં ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઇએ. પાટીલ અને પાનસેરિયા પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલે પોતે પહેલ કરતા જણાવ્યું છે કે જ્યાં સુધી પેટ્રોલના ભાવમાં સ્થિરતા નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાની સુરક્ષા માટે ફાળવવામાં આવતી 'પાયલોટિંગ કાર' નો ઉપયોગ કરશે નહીં. સામાન્ય રીતે કેન્દ્રીય મંત્રીઓને સુરક્ષા પ્રોટોકોલ હેઠળ પાયલોટિંગ વાહનની સુવિધા મળતી હોય છે, પરંતુ વધતા ભાવ અને ઈંધણના વપરાશને ઘટાડવાના ઉમદા હેતુથી તેમણે આ સુવિધાનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ પાયલોટિંગ કારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે. હાલ વર્ક ફ્રોમ હોમની કોઈ વ્યવસ્તા નથી: કુલપતિ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ વર્ક ફ્રોમ હોમની કોઈ વ્યવસ્તા નથી. પરંતુ કાર પુલિંગનો નિર્ણય છે જે અંગે સત્તાવાર પરિપત્ર પણ કર્યો છે. યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, જે પણ કર્મચારી અધિકારી કાર લઈને આવતા હોય તે તેમની સાથે નજીકમાં કે આસપાસ રહેતા કર્મચારી અને અધિકારીને સાથે લઈને આવે જેનાથી વાહનનો વપરાશ ઘટે તો ઇંધણની પણ બચત થઈ શકશે. રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ પાઇલોટિંગ સેવા છોડી મોરબીના ધારાસભ્ય તેમજ રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ હવે પાઇલોટિંગ સેવાઓનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ-ડીઝલ બચાવવા માટે કરેલી અપીલ બાદ તેમણે આ પગલું ભર્યું છે. દાયકાનું સૌથી મોટુ સંકટ, પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડો: PM PM મોદીએ 11 મેના રોજ વડોદરામાં પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટની વાત કરી દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરવા અને સોનાની ખરીદી ન કરવા અપીલ કરી હતી. સરદાર ધામ-3ના લોકાર્પણ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતં કે,પહેલા કોરોનાનું સંકટ, પછી વૈશ્વિક આર્થિક પડકારો અને હવે પશ્ચિમ એશિયામાં વધતો તણાવની અસર દુનિયા પર પડી છે. તેમાંથી ભારત પણ બાકાત નથી. કોરોના મહામારી આ સદીનું સૌથી મોટુ સંકટ હતું. તો પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ આ દશકની સૌથી મોટા સંકટમાંની એક છે. જ્યારે આપણે મળીને કોરોનાનો સામનો કરી લીધો તો આ સંકટને પણ પાર પાડી દઈશું. ‘શક્ય હોય ત્યાં મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો’ ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે વિસ્તારમાંથી દુનિયાને ક્રુડ મળે છે તે જ ક્ષેત્રમાં આજે યુદ્ધની સ્થિતિ છે. એટલે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે તમામે મળીને નાના નાના સંકલ્પો કરવા પડશે. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે, જ્યાં સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરે. મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે. જેની પાસે કાર છે તેઓ અન્ય લોકોને સાથે લઈ ચાલે. જરુરી છે કે, સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટીંગ અને વર્કફ્રોમ હોમને પ્રાથમિકતા આપવામાં આવે. હું શાળાને પણ આગ્રહ કરું છું કે, થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસ માટે વ્યવસ્થા કરે.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
Read Original Article →