અમરેલીમાં PC-PNDT એક્ટ હેઠળ સલાહકાર સમિતિની બેઠક:નવા રજિસ્ટ્રેશનને બહાલી, જનજાગૃતિ વધારવા સૂચના

Gujarat5/26/2026, 10:14:03 AM
અમરેલીમાં PC-PNDT એક્ટ હેઠળ સલાહકાર સમિતિની બેઠક:નવા રજિસ્ટ્રેશનને બહાલી, જનજાગૃતિ વધારવા સૂચના
અમરેલી જિલ્લામાં પીસી-પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં એક્ટના અમલીકરણ અને નવા રજિસ્ટ્રેશનને બહાલી આપવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે યોજાયેલી આ બેઠકમાં બાકી રહેલી કાર્યવાહીની વિગતો મેળવી તેને પૂર્ણ કરવા અને તે માટે કામગીરી હાથ ધરવા સૂચના અપાઈ હતી. પીસી-પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ સ્ત્રી ભ્રૂણ ગર્ભ પરીક્ષણ અને આવા બિનઅધિકૃત કૃત્યો પર પ્રતિબંધ મૂકે છે, જેમાં કડક કાર્યવાહીની જોગવાઈઓ છે.સમાજમાં દીકરીઓની સંખ્યા વધે તે હેતુથી તાલુકા કક્ષાએ જનજાગૃતિ વધારવા માટે આયોજન હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત, દરેક રજિસ્ટર્ડ ક્લિનિકનું વેરિફિકેશન કરવા પણ નિર્દેશ અપાયો હતો.પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત હોસ્પિટલ, ક્લિનિક અને સંસ્થાઓએ સી.સી.ટી.વી. લગાવવા ફરજિયાત છે. આ બાબતે અમરેલી જિલ્લામાં જાહેરનામું અમલી કરવામાં આવ્યું છે.બેઠકમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇ.એમ.એ.) અમરેલીના પ્રમુખ ડૉ. ગજેરા અને પીસી-પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અંતર્ગત અમરેલી જિલ્લા સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →