નીલકંઠ સ્કૂલમાં નવા સત્રનો પ્રારંભ:શાળામાં પ્રવેશતા બાળકોનું તિલક કરીને સ્વાગત, વિદ્યારંભ સંસ્કાર યજ્ઞનું આયોજન
સાણંદના કાણેટી રોડ પર આવેલી નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે વિદ્યારંભ સંસ્કાર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ શાળા અને ગાયત્રી પરિવારના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. શાળામાં પ્રવેશતા બાળકોનું તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સદ્દભાવના સભા યોજી બાળકોને આવકારવામાં આવ્યા હતા, અને વિદ્યારંભ સંસ્કાર યજ્ઞનો શુભારંભ કરાયો હતો. શાળા પરિસરમાં કુલ 11 હવનકુંડ બનાવવામાં આવ્યા હતા. ધોરણ પ્રમાણે વર્ગશિક્ષકો અને બાળકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી હતી. બે કલાક ચાલેલા આ યજ્ઞમાં શિક્ષકો અને બાળકોએ કળશ પૂજા, ગણેશ પૂજા અને આદ્યશક્તિ પૂજા કરીને વિદ્યાની દેવી સરસ્વતી માતાનું પૂજન કર્યું હતું. શાળાના પ્રધાનાચાર્યએ યજ્ઞના મહત્વ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે યજ્ઞ કરવાથી શ્લોક મંત્રનું મહત્વ સમજાય છે, નકારાત્મક વિચારો દૂર થાય છે, સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવામાં મદદ મળે છે. આ યજ્ઞ ધાર્મિક જીવનનું મહત્વ સમજી જીવનમાં સાર્થકતા લાવવાના હેતુથી યોજાયો હતો. આ પ્રસંગે શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા અને સમગ્ર સ્ટાફ પરિવારે બાળકોને પ્રથમ દિવસે સહર્ષ આવકારી શુભકામનાઓ પાઠવી હતી.
Read Original Article →