સુરતમાં મુસ્લિમ પરિવારને બંગલામાં રહેતા અટકાવ્યા:અશાંત ધારા અંતર્ગત મંજૂરી મેળવી છતાં સોસયટી NOC માંગીને રોકતી હોવાની ફરિયાદ, હાઇકોર્ટે CPને સુરક્ષા અંગે નિર્ણય લેવા જણાવ્યું
સુરતના એક મુસ્લિમ શિક્ષિકાએ તેમના પરિવારને નવા ખરીદેલા બંગલામાં રહેવા જતા સોસાયટીના સભ્યો દ્વારા રોકવામાં આવ્યા બાદ, પોલીસ સુરક્ષાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. કથિત રીતે સોસાયટીના સભ્યોએ 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ન મેળવ્યું હોવાના બહાને અને તેમના ધર્મના આધારે તેમને પ્રવેશતા અટકાવ્યા હતા. મુસ્લિમ પરિવારની હાઈકોર્ટમાં અરજી
પરિવારે અગાઉ પોલીસ સુરક્ષા માંગી હતી, પરંતુ સુરત પોલીસે તેને કાર્યવાહી માટે યોગ્ય કેસ ગણ્યો ન હતો. ત્યારબાદ પરિવારે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેણે હવે આ મામલે હસ્તક્ષેપ કર્યો છે અને સુરત પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે કે તેઓ ચાર અઠવાડિયાની અંદર પરિવારની સુરક્ષાની વિનંતી પર વિચાર કરે, જેથી તેઓ તેમના નવા ઘરમાં રહી શકે. લઘુમતી સમુદાયના માલિક પાસેથી બંગલો ખરીદ્યો
એક ખાનગી શાળાની શિક્ષિકા દ્વારા સપ્ટેમ્બર 2025માં સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી એક કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બંગલા નંબર 80 એક લઘુમતી સમુદાયના માલિક પાસેથી ખરીદ્યો હતો. આ વિસ્તારમાં સરકારે 'ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ' લાગુ કરેલો હોવાથી, એપ્રિલ 2025માં સરકારની ફરજિયાત પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ જ વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. સોસાયટીના અન્ય રહેવાસીઓએ પ્રવેશતા રોક્યા
18 સપ્ટેમ્બર, 2025ના રોજ જ્યારે અરજદાર પરિવાર ઘરમાં રહેવા માટે ગયો, ત્યારે સોસાયટીના અન્ય રહેવાસીઓએ કથિત રીતે એકઠા થઈને તેમને પ્રવેશતા રોક્યા હતા. તેમણે વાંધો ઉઠાવ્યો હતો કે સોસાયટીની NOC વિના લઘુમતી ધર્મનો પરિવાર ત્યાં રહી શકે નહીં. આ સોસાયટીમાં કુલ 84 બંગલા છે, જેમાંથી 20માં ખ્રિસ્તી પરિવારો, 8માં મુસ્લિમ પરિવારો અને બાકીનામાં હિન્દુ પરિવારો રહે છે. સોસાયટીની NOC વિના ઘર વેચી કે ભાડે આપી શકાય નહીં
આ વિવાદ રાંદેર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાં અરજદારના પતિએ પોલીસ સુરક્ષાની માંગ કરી હતી. ચાર દિવસ પછી, એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરે સોસાયટીના પ્રમુખનું નિવેદન નોંધીને રિપોર્ટ સબમિટ કર્યો હતો. પ્રમુખે જણાવ્યું હતું કે સોસાયટીની NOC વિના ઘર વેચી કે ભાડે આપી શકાય નહીં. પોલીસ અધિકારીએ એવી દલીલ સાથે અરજી બંધ કરવાની ભલામણ કરી હતી કે રહેવાસીઓ અને અરજદાર પરિવાર વચ્ચે કોઈ ઝઘડો થયો નથી, તેથી પોલીસ સુરક્ષાની જરૂર નથી. સોસાયટીના સભ્યો તરફથી તેમના પરિવારની સુરક્ષાને ખતરો
અરજદારે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે, સોસાયટીના સભ્યો તરફથી તેમના પરિવારની સુરક્ષાને ખતરો છે. તેમણે દલીલ કરી હતી કે અશાંત ધારા હેઠળ સરકારની મંજૂરી મેળવીને મિલકત કાયદેસર રીતે ખરીદવામાં આવી હોવાથી તેમને ત્યાં રહેવાનો સંપૂર્ણ અધિકાર છે. પોલીસ સુરક્ષા આપવા માટેની અરજદારની રજૂઆત
ગુજરાત હાઈકોરે નોંધ્યું હતું કે અરજદારે ગુજરાત અશાંત ધારા હેઠળ મંજૂરી મેળવી છે અને તેમના પક્ષમાં વેચાણ દસ્તાવેજ પણ કરવામાં આવ્યો છે, તે હકીકતને ધ્યાનમાં રાખીને, સુરત શહેર પોલીસ કમિશનરે રાંદેર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરના અગાઉના રિપોર્ટથી પ્રભાવિત થયા વિના, પોલીસ સુરક્ષા આપવા માટેની અરજદારની રજૂઆત પર વિચાર કરવો જોઈએ.
Read Original Article →