ભારતીય યોગ સંસ્થાનનો 60મો સ્થાપના દિવસ ઉજવાયો:શ્રી સદન 17માં 'જીવો અને જીવન દો' મંત્ર સાથે યોગાભ્યાસ
ભારતીય યોગ સંસ્થાનનો 60મો સ્થાપના દિવસ શહેરના વિવિધ કેન્દ્રો પર યોગ પ્રસાર કાર્યક્રમો સાથે ઉજવાયો. ન્યુ વાસણા વિસ્તારમાં આયોજિત સમાપન સમારોહમાં સંસ્થાના હોદ્દેદારો અને યોગ સાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા 1960થી "જીવો અને જીવન દો" ના મંત્ર સાથે સમાજને સ્વસ્થ રાખવાનું કાર્ય કરી રહી છે. આ પ્રસંગે આંબાવાડી જિલ્લા પ્રમુખ કપિલાબેન ગાંધી, જિલ્લા મંત્રી અભયભાઈ શાહ, જિલ્લા સંગઠન મંત્રી જાસ્મીનાબેન અને બંસીધર યોગ કેન્દ્રના ઉપ પ્રમુખ વર્ષાબેન ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના યોગ શિક્ષકો દ્વારા શિસ્તબદ્ધ રીતે યોગાભ્યાસ કરાવવામાં આવ્યો. પાલડી વાસણા ક્ષેત્ર પ્રમુખ કેતનભાઈ શાહ અને ન્યુ વાસણા કેન્દ્રના શિક્ષક મીનળબેને આ કાર્યક્રમમાં યોગદાન આપ્યું. શ્રી સદન 17 સોસાયટીમાં યોગ કેન્દ્ર શરૂ કરવામાં શીતલભાઈ શાહની પહેલ અને બિલ્ડરના સહયોગની નોંધ લેવાઈ. કાર્યક્રમના અંતે, સાધકોએ "રોજ યોગ, કરીશું યોગ, રહો નિરોગ" ના નારા સાથે દરરોજ યોગ કરવાનો સંકલ્પ લીધો. આભાર વિધિ દરમિયાન જણાવાયું કે છેલ્લા 15 દિવસથી યોગ સાધકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. સોસાયટીના રહેવાસીઓ, સફાઈકર્મીઓ અને સિક્યુરિટી સ્ટાફના સહકારથી આ કેન્દ્ર સફળતાપૂર્વક કાર્યરત છે. કાર્યક્રમના અંતે પ્રિયશરણ ગુપ્તાજી તરફથી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સમાપન "સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયાઃ" મંત્ર અને ભારત માતા કી જયના નાદ સાથે થયું.
Read Original Article →