હાઇકોર્ટે પત્નીની અરજી નકારી રાજકોટ ફેમિલી કોર્ટનો આદેશ માન્ય રાખ્યો:કોર્ટે કહ્યું કે, વાજબી કારણ વગર પતિથી અલગ રહેતી પત્ની ભરણપોષણ મેળવવા હકદાર નથી
ગુજરાત હાઇકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મહત્વનો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ યોગ્ય કે કાયદેસરના કારણ વિના પતિને છોડી જતી રહેનારી પત્ની ભરણપોષણ મેળવવાનો દાવો કરી શકે નહીં. આ સાથે જ હાઇકોર્ટે રાજકોટ ફેમિલી કોર્ટ દ્વારા પત્નીની ભરણપોષણની અરજી રદ કરવાના આદેશને પણ માન્ય રાખ્યો છે. શું હતો સમગ્ર મામલો?
આ કેસની વિગત મુજબ, દંપતીના લગ્ન વર્ષ 2009માં થયા હતા. ત્યારબાદ પત્નીએ રાજકોટ ફેમિલી કોર્ટમાં તત્કાલીન CrPC (હવે BNSS)ની કલમ 125 હેઠળ ભરણપોષણ મેળવવા દાવો કર્યો હતો. અરજીમાં તેણીએ આક્ષેપ કર્યો કે, પતિ અને સાસરી પક્ષના સભ્યો દ્વારા તેની પર ક્રૂરતા આચરવામાં આવતી હોવાથી તે ઘર છોડવા મજબૂર થઈ હતી. જોકે, રાજકોટ ફેમિલી કોર્ટમાં આ આક્ષેપોને સાબિત કરતા કોઈ નક્કર પુરાવા ન મળતા કોર્ટે અરજી ફગાવી દીધી હતી, જેને પત્નીએ હાઇકોર્ટમાં પડકારી હતી. હાઇકોર્ટની સુનાવણીમાં વિરોધાભાસ ખૂલ્યો
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન અપીલકર્તા પત્નીના નિવેદનોમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો હતો. પત્નીએ પોતાની મૂળ અરજીમાં એવો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો કે તેને સાસરીમાંથી કાઢી મૂકવામાં આવી છે કે તરછોડવામાં આવી છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, કોર્ટના રેકોર્ડ પર એવા કોઇ પુરાવા સામે આવ્યા નથી, જેનાથી પ્રસ્થાપિત થઇ શકે કે મહિલાની સાથે ક્રૂરતા થઇ હતી અથવા એવું કોઇ કૃત્ય થયું હતું કે તેના ઘરેથી નીકળી જવાના નિર્ણયને ન્યાયોચિત ઠરાવી શકાય. કાયદાની જોગવાઈ અને કોર્ટનું અવલોકન
હાઇકોર્ટે આ ચુકાદામાં CrPCની કલમ 125(4)ની જોગવાઈઓ પર ભાર મૂક્યો હતો, જે ભરણપોષણના અધિકારના અપવાદો દર્શાવે છે. આ જોગવાઈ મુજબ, પત્ની એવા સંજોગોમાં ભરણપોષણની હકદાર રહેતી નથી, જ્યારે તે વ્યભિચારમાં લિપ્ત હોય. કોઇ નક્કર કે વ્યાજબી કારણ વિના પતિ સાથે રહેવાનો ઇન્કાર કરી દે અથવા તો દંપતિ પરસ્પર મંજૂરીથી જુદા રહેતા હોય. માત્ર આક્ષેપોના આધારે રાહત ન મળી શકેઃ HC
હાઇકોર્ટે નોંધ્યું હતું કે, ભરણપોષણનો કાયદો ખરા અર્થમાં પીડિત અને આશ્રિત વ્યક્તિના રક્ષણ માટે ઘડવામાં આવ્યો છે. કોઈ પણ પુરાવા વિના માત્ર મૌખિક આક્ષેપોના આધારે આ કાયદાનો લાભ આપી શકાય નહીં. આ કેસમાં મહિલા પોતાના અલગ રહેવા પાછળનું કોઈ વાજબી કારણ સાબિત કરવામાં સદંતર નિષ્ફળ રહી હોવાથી, કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંત મુજબ તેનો ભરણપોષણનો દાવો નકારી કાઢવામાં આવ્યો છે.
Read Original Article →