82 કરોડના પાલડી અંડરબ્રિજમાં બે વર્ષમાં જ ભ્રષ્ટાચારની પોલ ખૂલી:રોડ પર સળિયા દેખાયા અને પોપડા ઉખડતા વાહનચાલકોના પર મોટું જોખમ, RCC રોડ પર ડામર નાખ્યો

Gujarat6/8/2026, 2:43:44 PM
82 કરોડના પાલડી અંડરબ્રિજમાં બે વર્ષમાં જ ભ્રષ્ટાચારની પોલ ખૂલી:રોડ પર સળિયા દેખાયા અને પોપડા ઉખડતા વાહનચાલકોના પર મોટું જોખમ, RCC રોડ પર ડામર નાખ્યો
શહેરના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે રૂ .82 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો અંડરબ્રિજ બનવાની શરૂઆત થઈ ત્યારથી લઈ ઉદ્ઘાટન થયું ત્યાં સુધી વિવાદમાં રહ્યો છે. બે વર્ષ પહેલા બનાવવામાં આવેલા અંડરબ્રિજના રોડમાં સળિયા દેખાવા લાગ્યા છે. અનેક જગાએ રોડ તૂટી ગયો છે અને તેના સળિયા દેખાવા લાગતા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ સામાન્ય રીસરફેસ કરીને લીપાપોથી કરી દીધી છે. બ્રિજની ઉપરના ભાગે પણ પોપડા ઉખડી ગયા છે અને લટકતા જોવા મળ્યા છે જેના કારણે વાહન ચાલકો પર જોખમ ઊભું થયું છે. 82 કરોડના અંડરબ્રિજમાં સળિયા દેખાવા લાગ્યા મળતી માહિતી મુજબ શહેરના પાલડી વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત મેટ્રો રેલ અને રેલવે દ્વારા સંયુક્ત રીતે રૂ. 82 કરોડના ખર્ચે અંડર બ્રિજ બનાવવામાં આવ્યો છે. વર્ષ 2024માં બનીને નાગરિકો માટે ખુલ્લા મુકવામાં આવેલા અંડર બ્રિજમાં રોડ પર સળિયા દેખાવા લાગ્યા છે અને ઉપરના ભાગે પોપડા પણ ઉખડી ગયા છે. રોડ તૂટી ગયો છે અને સળિયા દેખાવા લાગ્યા છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા RCC રોડ પર ડામર નાખીને હલકી ગુણવત્તાનું રીપેરીંગ કર્યું છે. વાહનચાલકો પર પોપડા પડે તેવી સ્થિતિ પાલડી તરફથી ગુજરાત કોલેજ રોડ તરફ જતાં પાલડી મેટ્રો સ્ટેશન નીચે રોડ પર સળિયા દેખાયા છે. બ્રિજની ઉપરના ભાગે પણ પોપડા ઉખડવા લાગ્યા છે. અંડરપાસની ઉપરના ભાગે પોપડાનો ભાગ વાહન ચાલકો માટે જોખમી બન્યો છે. અંડરપાસમાંથી અનેક ટુ વ્હીલર ચાલકો અને વાહનો પર પોપડા નીચે પડે તેવી સ્થિતિ જોવા મળી છે. અગાઉ બ્રિજ વિવાદમાં આવી ચૂક્યો છે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે વિભાગ દ્વારા સંયુક્ત રીતે રૂ.82 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા અંડરબ્રિજમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્પષ્ટ જણાય છે. રેલવે ક્રોસિંગ અને મેટ્રો રેલવે બંને હોવાના કારણે પાંચ વર્ષ પહેલાં અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. જે તે સમયે પણ સ્થાનિક લોકો દ્વારા કેટલોક વિરોધ કરવામાં આવ્યો હતો અને સ્થાનિક રાજકારણીઓએ પણ આ મામલે વિરોધ કર્યો હતો. કોણ બ્રિજ બનાવશે તેને લઈને વિવાદ થયા બાદ આખરે માર્ચ 2024માં અંડરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો હતો. જો કે, શરૂઆત થાય તેના પહેલાં પણ બ્રિજ વિવાદમાં આવ્યો હતો.
Read Original Article →