અધિકમાસમાં સંતવાણી:ભૂલ સ્વીકારવી પ્રગતિનું પ્રથમ પગથિયું: સાધુ પ્રેમવત્સલદાસજી

Gujarat6/6/2026, 10:59:28 AM
અધિકમાસમાં સંતવાણી:ભૂલ સ્વીકારવી પ્રગતિનું પ્રથમ પગથિયું: સાધુ પ્રેમવત્સલદાસજી
મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે જણાવ્યું હતું કે, પોતાની ભૂલ સ્વીકારવી એ પ્રગતિનું પ્રથમ પગથિયું છે. તેમણે આત્મનિરીક્ષણ અને ક્ષમાયાચનાના મહત્વ પર ભાર મૂક્યો હતો. સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું કે, દુનિયાના સૌથી શક્તિશાળી હથિયાર કરતાં પણ વધુ તાકાતવર શક્તિ પોતાની ભૂલ સ્વીકારવાની હિંમત છે. માણસ માત્ર ભૂલને પાત્ર છે, પરંતુ વિજેતા તે જ છે જે ભૂલ કરીને તેને છુપાવવાને બદલે સ્વીકારે છે. ભૂલ સ્વીકારવા માટે હિંમત જોઈએ, જ્યારે બહાના કાઢવા માટે તો આખી દુનિયા તૈયાર હોય છે.તેમણે જીવન ઘડતરનો પાયો આત્મમંથનને ગણાવ્યો હતો. જે વ્યક્તિ અરીસામાં જોઈને પોતાની જાતને પ્રશ્ન પૂછી શકે છે કે "મેં ક્યાં ભૂલ કરી?", તેના માટે પ્રગતિના દ્વાર ખુલી જાય છે. વ્યવસાયમાં પણ જો ભૂલ સ્વીકારવામાં ન આવે, તો તે જ ભૂલ વારંવાર થાય છે અને સફળતા મળતી નથી. સાધુ પ્રેમવત્સલદાસજીના મતે, ભૂલ એ હકીકતમાં એક પાઠ છે. જે વ્યક્તિ કહે છે કે "હા, હું ખોટો હતો", તે ક્ષણથી જ તેનું શીખવાનું અને પ્રગતિ કરવાનું શરૂ થાય છે.આધ્યાત્મિક માર્ગ પર ચાલનાર માટે 'અહંકાર' સૌથી મોટો અવરોધ છે. ભગવાનના દરબારમાં તે જ વ્યક્તિ મોટો છે જે પોતાની ભૂલ કબૂલ કરી લે છે. ભૂલ સ્વીકારવાથી મન હળવું થાય છે.ક્ષમા માંગવી એ નબળાઈ નથી, પરંતુ આંતરિક મજબૂતીની નિશાની છે. તેમણે ઘરના ઝઘડાઓનું મૂળ કારણ સમજાવતા કહ્યું કે, કોઈને નમવું નથી અને દરેકને સાચા સાબિત થવું છે.જો ઘરમાં એક "સોરી" કહી દેવામાં આવે, તો વર્ષોના મનદુઃખ મટી શકે છે. આપણે વિચારીએ છીએ કે "હું કેમ નમું? હું તો મોટો છું." પરંતુ સંબંધો જીતવા માટે ક્યારેક દલીલોમાં હારવું પડે છે.પરિવારમાં શાંતિ જાળવવા માટે 'હું' છોડીને 'આપણે' સ્વીકારવું પડશે. આ માર્ગે જેટલા વધુ ચાલીશું, તેટલા વધુ સુખી થઈશું, તેમ સાધુ પ્રેમવત્સલદાસજીએ અંતમાં જણાવ્યું હતું.
Read Original Article →