અધિકમાસમાં સંતવાણી:સંતાનોને સંપત્તિ સાથે સંસ્કાર આપો: સાધુ પ્રેમવત્સલદાસજી
શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે સંતાનોના ઉછેર અંગે મહત્વપૂર્ણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, બાળકોની જરૂરિયાતો પૂરી કરવી એ માત્ર 'સગવડ' છે, પરંતુ તેમને યોગ્ય-અયોગ્યનો ભેદ સમજાવવો એ જ સાચા 'સંસ્કાર' છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક જણાવ્યું કે, સંપત્તિ ક્ષણભંગુર છે, જ્યારે સંસ્કાર પેઢીઓ સુધી જીવંત રહે છે. વ્યક્તિના અવસાન પછી તેનું ધન નહીં, પરંતુ તેનું વર્તન અને તેના સંસ્કારો જ બોલે છે. માતા-પિતાની ફરજ માત્ર સંતાનોને જન્મ આપવા કે ભૌતિક સુખ આપવા પૂરતી સીમિત નથી, પરંતુ તેમને એક સારો અને સંસ્કારી માણસ બનાવવાની છે. આજના યુગમાં મોબાઈલ ફોન એક મોટો પડકાર બની ગયો છે. ઘણા માતા-પિતા બાળકોને રડતા શાંત કરવા અથવા પોતાનું કામ પતાવવા માટે તેમને મોબાઈલ આપી દે છે. જોકે, બાળકને મોબાઈલ આપવો એ ગુનો નથી, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવવું એ માતા-પિતાની પ્રાથમિક ફરજ છે. ટેક્નોલોજી તલવાર સમાન છે, જે રક્ષણ અને વિનાશ બંને માટે ઉપયોગી થઈ શકે છે. તેથી, બાળકોને ટેક્નોલોજીનું જ્ઞાન આપતી વખતે તેના ફાયદા અને ગેરફાયદા તેમજ મર્યાદાઓ સમજાવવી અનિવાર્ય છે. તેમણે વધુમાં કહ્યું કે, માતા-પિતા સંતાનો માટે લાખોની મિલકત અને બેંક બેલેન્સ છોડી જાય છે, પરંતુ જો તેમને સંસ્કાર આપવાનું ચૂકી જાય, તો સંતાનોને તે મિલકત ઉડાવતા વાર નહીં લાગે. જો સંતાન સંસ્કારી હશે તો તે પોતાની સંપત્તિ કમાવી લેશે, પરંતુ જો તે કુસંસ્કારી હશે તો કમાયેલી સંપત્તિ પણ ગુમાવી દેશે. ભારતીય સંસ્કારો વડીલોને માન આપવા, વિવેક જાળવવા અને સંયમ રાખવાનું શીખવે છે. આ જ્ઞાન શાળાની ફી ભરીને નહીં, પરંતુ ઘરના વાતાવરણ અને માતા-પિતા દ્વારા અપાયેલા સંસ્કારોથી જ પ્રાપ્ત થાય છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક જણાવ્યું કે, મનુષ્યનો જન્મ માત્ર ખાવા-પીવા અને મોજ-મજા કરવા માટે નથી, પરંતુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરીને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. આ જ્ઞાન માતા-પિતાએ બાળકોને નાનપણથી જ આપવું જોઈએ, જેથી સંતાનો આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકે.
Read Original Article →