આજે JEE એડવાન્સની બે સેશનમાં પરીક્ષા:NEET વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓમાં પેપર લીક ન થવાનો આત્મવિશ્વાસ, દૂરના પરીક્ષા કેન્દ્રો ફાળવાતા વાલીઓમાં નારાજગી

Gujarat5/17/2026, 3:01:11 AM
આજે JEE એડવાન્સની બે સેશનમાં પરીક્ષા:NEET વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓમાં પેપર લીક ન થવાનો આત્મવિશ્વાસ, દૂરના પરીક્ષા કેન્દ્રો ફાળવાતા વાલીઓમાં નારાજગી
દેશની સર્વોચ્ચ એન્જિનિયરિંગ સંસ્થાઓ (IIT અને NIT)માં પ્રવેશ મેળવવા માટેની પ્રતિષ્ઠિત ‘જેઈઈ એડવાન્સ’ પરીક્ષા આજે (17 મે) યોજાઈ રહી છે. તાજેતરમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા ‘NEET’ના પેપર લીક વિવાદ બાદ યોજાઈ રહેલી આ મહત્ત્વની પરીક્ષા આપવા માટે વિવિધ શહેરો અને રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અમદાવાદ આવ્યા છે. શહેરમાં મુખ્યત્વે બોપલ (TCS આયોન ડિજિટલ ઝોન) અને ઓઢવ ખાતે પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. બે સેશનમાં કમ્પ્યુટર બેઝ્ડ પરીક્ષા ધોરણ 12 પછી એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાનું વિશેષ મહત્ત્વ છે. JEE મેન્સ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને જ JEE એડવાન્સ પરીક્ષા આપવાની તક મળે છે. દેશભરમાંથી અંદાજે 2.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. બે સેશનમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પહેલું પેપર સવારે 9થી 12 કલાક અને બીજું પેપર 2.30થી 5 વાગ્યા સુધી લેવામાં આવશે. પેપર લીકના ડર વગર વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ થોડા સમય પહેલા જ મેડિકલમાં પ્રવેશ માટેની NEETની પરીક્ષા પેપર લીક થવાના કારણે રદ થઈ હતી અને તેના થોડા સમય બાદ જ JEE એડવાન્સ પરીક્ષા લેવામાં આવી રહી છે. જોકે આ પરિસ્થિતિની વચ્ચે પણ પરીક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે પરીક્ષામાં પેપરની લીકની ઘટનાઓ ભાગ્ય જ બનતી હોય છે, જેથી કોઈ ચિંતા નથી. કેટલાક વિદ્યાર્થીએ એવું પણ કહ્યું કે, પેપર લીક થાય અને પરીક્ષા રદ થાય તો ફરીથી પરીક્ષા આપીશું. દૂરના પરીક્ષા કેન્દ્રો ફાળવાતા વાલીઓમાં નારાજગી આજની પરીક્ષાને લઈને કેટલાક વાલીઓની એવી પણ ફરિયાદ છે કે, તેમના રહેણાંકથી નજીકના પરીક્ષા કેન્દ્રો પ્રાયોરિટીમાં પસંદ કર્યા હતા, પરંતુ નજીકના પરીક્ષા કેન્દ્ર ફાળવવાની જગ્યાએ દૂર-દૂર સુધી પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે, જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ બંને હેરાન પણ થયા છે. જો સારા માર્ક્સ આવે તો મારે NITમાં એડમિશન લેવું છે: યજ્ઞેશ અંકલેશ્વરથી આવેલા યજ્ઞેશ પ્રજાપતિ નામના વિદ્યાર્થીએ કહ્યું કે, મારો આ પહેલો એટેમ્પટ છે. જો સારા માર્ક્સ આવે તો મારે એનઆઇટીમાં એડમિશન લેવું છે. મેન્સના રીઝલ્ટ પછી એડવાન્સની તૈયારી કરતો હતો. રોજના પાંચથી છ કલાક પરીક્ષા માટે તૈયારી કરતો હતો. પેપર સારું રહે તેવી આશા છે. અગાઉ મેન્સની પરીક્ષામાં 88 PR આવ્યા છે: જૈમીન જૈમીન નામના વિદ્યાર્થીએ જણાવ્યું કે, હું હળવદ મોરબીથી પરીક્ષા આપવા આવ્યો છું. તૈયારી ફુલ છે. મેરીટમાં આવી જઈશ ત્યાં સુધીની તૈયારી કરી છે. અગાઉ મેન્સની પરીક્ષામાં 88 PR આવ્યા છે અને બોર્ડમાં 95PR આવ્યા છે. મારે ભવિષ્યમાં આઈઆઈટીમાં EC બ્રાન્ચમાં એડમિશન લેવાનો વિચાર છે.
Read Original Article →