જગન્નાથ મંદિરની 60 કરોડની કિંમતની જમીન મુસ્લિમને વેચી નાખ્યાનો આક્ષેપ:મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવાની માગ, મંદિરના મહંતે કહ્યું- 'આ મામલો કોર્ટમાં છે, ચૂકાદા મુજબ નિર્ણય કરીશું'
અમદાવાદના જગન્નાથ મંદિર ટ્રસ્ટની કરોડો રૂપિયાની જમીનનો મામલો વધુ એકવાર સપાટી પર આવ્યો છે. મંદિર ટ્રસ્ટના કર્તાહર્તાઓએ કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર જ અંદાજિત 60 કરોડની કિંમતની જમીન એક મુસ્લિમ વેપારીને વેચી નાખી હોવાનો સામાજિક કાર્યકર અતુલ દવે દ્વારા આક્ષેપ કરાયો છે. જગન્નાથ મંદિર સાથે લાખો ભક્તોની આસ્થા જોડાયેલી હોય ટ્રસ્ટનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવાની માગ કરવામાં આવી છે. તો બીજી તરફ આ વિવાદ મામલે મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે, જમીનનો મામલો હાલ કોર્ટમાં છે. કોર્ટના ચુકાદા મુજબ આગામી સમયમાં નિર્ણય કરવામાં આવશે. 28 હજાર વાર જમીન મંજૂરી વિના વેચી નખાયાનો આક્ષેપ
સામાજિક કાર્યકર અતુલ દવેએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરના ટ્રસ્ટ શ્રી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1992માં બહેરામપુરા સર્વે નંબર 138ની જમીન આપવામાં આવી હતી. લગભગ 1.5 લાખ ચોરસ વાર જમીન જેની કિંમત 450 કરોડ રૂપિયા થાય છે. આ જમીનનો બારોબાર વહીવટ મંદિરના વહીવટકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ જમીન પૈકી એક જમીનનો 28,000 ચોરસ વાર રૂ. 60 કરોડ જેની બજાર કિંમત છે તેને વર્ષ 2018માં માત્ર સાત કરોડ રૂપિયામાં તેને આપી દેવામાં આવી છે. પાછલા બારણે કોઈપણ પ્રકારની મંજૂરી વિના આ જમીનને વેચવાનો પેતરો કરવામાં આવ્યો છે. જે જમીન આપવામાં આવી છે તેમાં 28,000 ચોરસ વાર જમીનને 2018માં આપવામાં આવી હતી. મુસ્લિમ વ્યક્તિને જે જમીન વેચવામાં આવી તેમાં દિલીપદાસજીએ સહી કરી છે ત્યારે તેઓએ સહી કરતા પહેલા વિચારવું જોઈએ કે જે કાગળમાં સહી કરી રહ્યા છો. એક મુસ્લિમ વ્યક્તિને જમીન આપી છે જેના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. વધુમાં તેમણે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, જમીનનો સોદો માત્ર સાત કરોડમાં જ થયો છે પરંતુ 45 કરોડમાં સોદો થયો હોવાનું જાણવા મળ્યું છે અને 38 કરોડ રૂપિયા બ્લેકમાં લીધા છે. જે જમીન આપવામાં આવી છે તે મૂળ ઉસ્માન ઘાંચી નામના વ્યક્તિ જેઓ H.S. HOTELVALA ના માલિક છે. મુખ્ય ભૂમિકા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાની છે મંદિરનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવાની માગ
આ બાબતે મંદિરના વહીવટકર્તા અને ગુજરાત સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. જ્યારે કોઈપણ પ્રકારની રજૂઆતને સાંભળવા માટે તેઓ તૈયાર નથી. હિન્દુ હિત અને મંદિરના હિતમાં જે કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે. જે કૌભાંડીઓ મંદિર ઉપર કબજો જમાવીને બેઠા છે તેમને કાઢી મૂકવામાં આવે તેમજ મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવાની માંગ કરી છે. જમીન કૌભાંડની તપાસ SIT દ્વારા કરવાની પણ માંગ કરીએ છીએ. જેના માટે અમે વડાપ્રધાનને પત્ર લખીએ છીએ. લાખો લોકો આ પત્ર લખીને વડાપ્રધાનને મોકલશે. જગન્નાથ મંદિર બચાવોનું કેમ્પેન અમે કરી રહ્યા છીએ. જમીનના સોદાથી મંદિરને કરોડો રૂપિયાનું નુકસાન થયાનો દાવો
અમારો એક માત્ર આશય છે કે જે આ કૌભાંડ થયું છે. એમાં કૌભાંડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવે તેમજ મંદિરને જે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તે ભરપાઈ કરવામાં આવે તેવી જ માંગ કરવામાં આવી છે. જમીનનો વર્ષ 2018 માં દસ્તાવેજ કરવામાં આવ્યો હતો જેમાં ખરીદનાર તરીકે યાસીનભાઈ ઘાંચી અને વેચનાર તરીકે જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ છે આ સોદાથી મંદિરને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
Read Original Article →