'હું ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ વિરૂદ્ધ': ગિલ:GTના કેપ્ટને કહ્યું- ક્રિકેટ 11 ખેલાડીઓની રમત, વધારાના બેટ્સમેનથી રમતની કુશળતા પર અસર પડશે
વિશ્વની સૌથી લોકપ્રિય IPL 2026ની લીગનો 28 માર્ચથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. હાલમાં IPLની તમામ ટીમો સારા પ્રદર્શન માટે કમરકસી રહી છે. નવી સીઝનની શરૂઆત પહેલા ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નહેરા અને કેપ્ટન શુભમન ગીલે ટુર્નામેન્ટને લઈને ચાલી રહેલી ચર્ચાઓના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મીડિયાને સંબોધન કર્યું હતું. હું ઇમ્પેક્ટ પ્લેયર નિયમ વિરુદ્ધ: કેપ્ટન ગિલ
કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ આશિષ નેહરા વચ્ચેની વાતચીત દરમિયાન ‘ઇમ્પેક્ટ પ્લેયર’ નિયમને 2027 સુધી ચાલુ રાખવા અંગે ચર્ચા થઈ હતી. ભાસ્કરના પ્રશ્નનો જવાબ આપતા કેપ્ટન ગિલે કહ્યું, “વ્યક્તિગત રીતે, મને લાગતું નથી કે ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ હોવો જોઈએ.” તેમણે પોતાના મતને સમજાવતા જણાવ્યું કે ક્રિકેટ 11 ખેલાડીઓની રમત છે, અને મેચમાં એક વધારાનો બેટ્સમેન ઉમેરવાથી રમતની કુશળતા પર અસર પડે છે. કારણ કે મેચ રમવા માટે એક ચોક્કસ કૌશલ્ય જરૂરી હોય છે. આ ઉપરાંત, પિચની પરિસ્થિતિઓ પણ ચર્ચાનો મહત્વપૂર્ણ મુદ્દો રહી. કોચ નેહરા, જે ભારતના પૂર્વ ફાસ્ટ બોલર છે, તેમણે કહ્યું કે તેઓ પોતાની પસંદગી મુજબની પિચ તૈયાર કરવા માંગે છે, પરંતુ દુર્ભાગ્યે એવું શક્ય નથી. ગિલે પોતાના કોચના મતને પુનરાવર્તિત કરતાં નિયમિત રીતે રન બનાવવાની અને તમામ પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કરવાની મહત્વતા પર ભાર મૂક્યો. શુભમન ગિલે કહ્યું, તમારી સામેની ટીમ કરતાં વધુ રન બનાવવા જ પડે છે. અમે એક જ મેચમાં 300–350 રન બનાવવા જેવી સિદ્ધિ હાંસલ કરવા પાછળ નથી. અમે એવી ટીમ બનવા માંગીએ છીએ કે જે સતત મોટા રન બનાવે અને તે પિચ માટેનો પાર સ્કોર હાંસલ કરે. પોતાના પ્રદર્શન અંગે વાત કરતાં ગિલે જણાવ્યું કે તેઓ વ્યક્તિગત સિદ્ધિઓ સામે ટીમની સફળતાને મહત્વ આપે છે. મહત્વનું છે કે, ગુજરાત ટાઇટન્સ 31 માર્ચે પંજાબના મલ્લાનપુરમાં પંજાબ કિંગ્સ સામે પોતાની પ્રથમ મેચની શરૂઆત કરશે.
Read Original Article →