Live Updates
આજે સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટનું પરિણામ:વિધાનસભાની સેમિફાઇનલમાં કોંગ્રેસનું કમબેક કે ભાજપનું પાવરપેક્ડ પર્ફોર્મન્સ યથાવત રહેશે?, આપ માટે અસ્તિત્વનો જંગ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામો જાહેર કરવામાં આવશે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. કુલ 10 હજાર 5 સીટમાંથી 736 સીટ બિન હરીફ થઈ ચૂકી છે એટલે 9269 સીટના પરિણામ આવશે. જો કે આ ચૂંટણી જે પાર્ટી સૌથી વધુ પાલિકા-પંચાયતો જીતશે તેને 2027ની વિધાનસભા ચૂંટણીમાં સત્તા મળવાનો રસ્તો સરળ બનશે. ભાજપ સામે 2021ના પરિણામો રીપિટ કરવાનો તો કોંગ્રેસ અને આપ માટે અસ્તિત્વનો પડકાર છે. પંચાલની પરીક્ષા, પાટીલનું પર્ફોર્મન્સ રિપિટ કરી શકશે?
2021ની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હતા અને તેમના નેતૃત્વમાં પાર્ટીએ 61 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર 90 ટકા બેઠકો જીતી હતી. હવે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ છે અને પરિણામો જાળવી રાખવાની સૌથી મોટી ચેલેન્જ છે. જો 2021ના પરિણામો કરતા નબળું પ્રદર્શન કરશે તો 2027ની ચૂંટણી સુધીમાં સંગઠન-સરકારમાં મોટા ફેરફાર થવાની શક્યતા પણ નકારી શકાશે નહીં. જગદીશન પંચાલના નેતૃત્વમાં આ પહેલી ચૂંટણી લડાઈ છે અને અહીં જ તેમની અગ્નિપરીક્ષા થઈ છે. હવે તેઓ તેમાં કેટલા સફળ રહેશે તેની થોડા કલાકમાં જ ખ્યાલ આવી જશે. 2021માં 90% સીટ પર કેસરિયો
2021માં ભાજપે શાનદાર જીત મેળવી ત્યારે તેની પાસે 100 ટકા સાંસદ, 100 ટકા જિલ્લા પંચાયત, 93 ટકા નગરપાલિકા, 86 ટકા તાલુકા પંચાયત અને 61 ટકા ધારાસભ્યો હતા. જેનો સીધો ફાયદો ત્યાર બાદ આવેલી વિધાનસભા 2022ની ચૂંટણીમાં થયો હતો. જેમાં ભાજપે 156 સીટ મેળવી હતી અને કોંગ્રેસ માત્ર 17 સીટ પર સમેટાઈ ગઈ હતી. જ્યારે આપને 5 બેઠક મળી હતી.
ત્યાર બાદ બે વર્ષમાં જ ભાજપે કોંગ્રેસના 4 અને એક અપક્ષ ધારાસભ્યને પોતાની પાર્ટીમાં ભેળવી લેતા 161એ સંખ્યાબળ પહોંચ્યું છે. 2015ની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ ફટકો પંચાયતોમાં પડ્યો હતો
2015ની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ ફટકો ગામડાઓમાં એટલે કે પંચાયતોમાં પડ્યો હતો. કુલ 31માંથી ભાજપ માંડ 8 જિલ્લા પંચાયત જ જીતી શક્યો હતો. જ્યારે કોંગ્રેસે 23 જિલ્લા પંચાયતોમાં પોતાનો પંજો રાખી દઇને ભાજપના કમળને કચડી નાખ્યું હતું. અમિત ચાવડા માટે ગજબનો સંયોગ, કોંગ્રેસને તારશે કે ડૂબાડશે?
આ ચૂંટણી કોંગ્રેસ આમ તો સાયલન્ટ થઈને લડી પણ ગ્રાઉન્ડ પરની ગેરહાજરીથી સૌ કોઈ તેના અસ્તિત્વ સામે જ સવાલ ઉઠાવી રહ્યા છે. આ વખતે અમિત ચાવડા સાથે એક ગજબનો યોગાનુયોગ સર્જાયો છે. 2021માં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હતા અને હાલ તેમની પાસે જ પાર્ટીની કમાન છે. જો કે 2021માં પરિણામો જાહેર થતાં જ તેમણે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. આ વખતે જો કોંગ્રેસ સન્માનજનક સીટ્સ લાવવામાં પણ નિષ્ફળ રહી તો આમ આદમી પાર્ટી ઘુસી જશે અને તેનું સ્થાન લઈ લેશે. આમ આજે અમિત ચાવડા રેસ અને લગ્નની જાનના ઘોડા કોણ છે? તે પારખી શક્યા છે કે નહીં? તે પણ નક્કી થઈ જશે. ઇટાલિયા-ઇસુદાનની જોડીનો પ્રભાવ કે પીછેહઠ આજે નિર્ણય
આમ આદમી પાર્ટીની વાત કરીએ સુરતમાં કોંગ્રેસને શૂન્ય પર લાવી પોતે 27 સીટ સાથે મુખ્ય વિપક્ષ બની ગઈ હતી. આ વખતે તેની સામે એટલી જ સીટ જાળવી રાખવાની સાથે સાથે સમગ્ર રાજ્યમાં પ્રદર્શન સુધારવાનો પડકાર છે. ઉમેશ મકવાણા, રાજુ કરપડા, સાગર રબારી, ભૂપત ભાયાણી સહિતના નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે. હવે ઇસુદાન અને ગોપાલ ઇટાલિયા જ મુખ્ય ચહેરા બચ્યા છે. સતત સોશિયલ મીડિયા પર દેખાતી આપ હવે વાસ્તવિક રીતે કેવું પરિણામ લાવે છે તેના પર તેનું રાજકીય ભાવિ ટકેલું છે.
કોંગ્રેસને સામાન્ય ફાયદો થવાની ધારણા
રાજકીય તજજ્ઞો માને છે કે આ વખતે પણ સમગ્ર રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઉપર ભાજપનો ભગવો લહેરાવાનું નિશ્ચિત છે. જેની સામે કોંગ્રેસની બેઠકોમાં સામાન્ય વધારો થઇ શકે છે. જ્યારે ગત ચૂંટણીમાં કાઠું કાઢનારી આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ થઇ જવાની ગણતરીઓ મંડાઇ રહી છે. મંગળવારે ચૂંટણીના સત્તાવાર પરિણામો જાહેર થશે. ગુજરાતમાં વધુ મતદાન એટલે પરિવર્તનની લહેર એ જૂની માન્યતા હવે સાચી પડતી નથી કારણ કે ભાજપનું માઇક્રો-લેવલ મેનેજમેન્ટ વધુ અસરકારક સાબિત થઇ રહ્યું છે.
Read Original Article →