કોંગ્રેસની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિપક્ષ નેતા માટે કવાયત:10મી સુધી જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકા માટે અને 12-13 જૂને મનપા માટે સેન્સ પ્રક્રિયા

Gujarat6/9/2026, 7:02:51 AM
કોંગ્રેસની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિપક્ષ નેતા માટે કવાયત:10મી સુધી જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકા માટે અને 12-13 જૂને મનપા માટે સેન્સ પ્રક્રિયા
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ બાદ કોંગ્રેસે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં વિપક્ષના નેતાઓની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. રાજ્યભરના ઓબ્ઝર્વરો આજથી 12 જૂન સુધી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે ચર્ચા કરીને પ્રદેશ કોંગ્રેસ સમિતિને અહેવાલ સોંપશે. ત્યારબાદ એક અઠવાડિયામાં વિવિધ સ્થાનિક સંસ્થાઓમાં વિપક્ષના નેતાઓના નામની જાહેરાત પણ કરવામાં આવશે. વિપક્ષના નેતાઓની પસંદગી માટે કવાયત શરૂ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ વિપક્ષ નેતા નક્કી કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. ચૂંટણી પરિણામ બાદ ભાજપ દ્વારા તમામ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પ્રમુખની નિમણૂક કરી દીધી છે. મહાનગરપાલિકામાં મેયર, સ્ટેડિંગ ચેરમેનની પણ જાહેરાત કરી દીધી છે. જેથી હવે ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિપક્ષના નેતાઓની પસંદગી માટે કવાયત શરૂ કરી દીધી છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ બાદ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોમાંથી વિપક્ષના નેતાઓની પસંદગી કરવા આજથી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આજથી વિવિધ જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ઉમેદવારો નક્કી કરવા અને સંગઠનને મજબૂત કરવા માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. તે જ નિરીક્ષકોને વિપક્ષ નેતા નક્કી કરવા માટે ઓબ્ઝર્વર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જે માટે આજથી વિવિધ જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 9 અને 10 જૂન દરમિયાન જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં ઓબ્ઝર્વર જે તે જિલ્લા અને તાલુકા પંચાયતમાં જઈને સ્થાનિક સંગઠન સાથે બેઠક કરી ચર્ચા કરશે. જેમાં પેનલ તૈયાર કરીને પ્રદેશ સંગઠનને મોકલવામાં આવશે. 12 અને 13 જૂને મનપા માટે સેન્સ જ્યારે 12 અને 13 જૂનના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે ચર્ચા અને અભિપ્રાય મેળવવાની પ્રક્રિયા કરવામાં આવશે. આ દરમિયાન રાજ્ય સ્તરના ઓબ્ઝર્વરો ચૂંટાયેલા સભ્યો, જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરીને વિપક્ષ નેતાઓના નામને લઈને ચર્ચા કરશે. નામોની પેનલ તૈયાર કરીને પ્રદેશ કોંગ્રેસ સમિતિને સોંપશે જેમાં સ્થાનિક સંગઠન સાથે સર્વસંમતિ મેળવવાનો પ્રયાસ કરશે. ત્યારબાદ તેઓ યોગ્ય નામોની પેનલ તૈયાર કરીને પ્રદેશ કોંગ્રેસ સમિતિને સોંપશે. ઓબ્ઝર્વરો દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલના લગભગ એક અઠવાડિયા બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિવિધ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે વિપક્ષના નેતાઓના નામની સત્તાવાર જાહેરાત કરશે.
Read Original Article →