વરસાદી પાણી ભરાતા વાહનના નુકસાન અંગે કોર્ટનો હુકમ:ગ્રાહકને વાહન રીપેરીંગના ખર્ચની રમક 4.19 લાખ ચૂકવે ત્યાં સુધી 9%ના સાદા વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને હુકમ

Gujarat5/25/2026, 3:38:24 PM
વરસાદી પાણી ભરાતા વાહનના નુકસાન અંગે કોર્ટનો હુકમ:ગ્રાહકને વાહન રીપેરીંગના ખર્ચની રમક 4.19 લાખ ચૂકવે ત્યાં સુધી 9%ના સાદા વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને હુકમ
આગામી દિવસોમાં વરસાદ શરૂ થવાનો છે. આ વરસાદમાં શહેર સહિત અનેક સ્થળોએ ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે. જેના કારણે ઘણાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન બગડી જવાની ફરિયાદો વાહન ચાલકોમાં ઉઠે છે. આવી જ એક વાહન ચાલકની ફરિયાદમાં ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા ગ્રાહકની તરફેણમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશને ફરિયાદી ગ્રાહકને વાહન રીપેરીંગના ખર્ચની રકમ રૂ.4,19,265 તા. 3 ફેબ્રુઆરી 2024થી ચૂકવે ત્યાં સુધી 9% ના સાદા વ્યાજ સાથે ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો છે. સાથોસાથ ફરિયાદી ગ્રાહકને માનસિક ત્રાસ અને લીગલ ખર્ચ પેટે કુલ રકમ ₹4,000 ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. વરસાદી પાણી ભરાતા ચાલુ ગાડી બંધ થઈ ગઈ હતી કલોલના રહેવાસી અને જાણીતા તબીબે યુનિવર્સલ સોંપો જનરલ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી વાહન માટે "pos private car package policy" વર્ષ 2019થી લીધી હતી. તા. 23 જુલાઈ 2023 ના રોજ ફરિયાદી આણંદથી વડોદરા જતા હતા, ત્યારે સખત વરસાદના કારણે રસ્તામાં પાણી ભરાયું હોવાથી ચાલુ ગાડી અચાનક બંધ પડી ગઈ હોવાથી ટો કરી અમદાવાદ ખાતે ગેરેજમાં લાવ્યા હતા. ત્યારબાદ ગેરેજના ટેકનિશીયન દ્વારા આપેલા એસ્ટીમેન્ટ ₹6,43,970 સાથે વીમા કંપનીને ક્લેમ કરતા વીમા કંપનીના સર્વેયરે સર્વે કરતા એન્જિનમાં પાણી ભરાયું હોવાનું જણાવ્યું અને બીજી બાજુ મોટર કારના ફ્લોરિંગ લેવલ સુધી પાણી પહોંચ્યું નથી તેવું જમાવ્યું હતું. તેમજ ગાડીના નુકસાન માટે રૂ.2,46,322 નો ખર્ચનો અંદાજ હોવાનું વીમા કંપની પોતાના સર્વેયરના રિપોર્ટના આધારે જણાવ્યું હતું. તેમ છતાં પણ વીમા કંપનીએ ફરિયાદીને ક્લેમની રકમ આપવા ઇન્કાર કર્યો હતો. સર્વેયરને ચૂકવેલી ફી સહિત રીપેરીંગનો ખર્ચ ₹5.17 લાખ થયો ફરિયાદી ગ્રાહકે વીમા કંપની દ્વારા ક્લેમ આપવા ઇન્કાર કરતાં નારાજ થઈ પોતે સ્વતંત્ર સર્વેયર દ્વારા સર્વે કરાવી ગાડીની હાલત વધારે ખરાબ ના થાય તે આશયથી રીપેરીંગ કામગીરી કરાવી. જે સબબ સર્વેયરને ચૂકવેલી ફી સહિત રીપેરીંગનો ખર્ચ ₹5,17,451 થયો હતો. ફરિયાદી પોલિસીધારકે ચૂકવેલ રકમ મેળવવા ગ્રાહક સુરક્ષા- ગ્રાહક સત્યાગ્રહ- ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલ દ્વારા ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કાયદેસર કેસ દાખલ કરી ન્યાયની માંગણી કરી હતી. બન્ને સર્વેયરના નુકસાની ખર્ચ અંગેના રિપોર્ટ તપાસ્યો ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ એ. બી. પંચાલ તથા સભ્ય પી. એમ. પરીખની બેન્ચ દ્વારા રેકર્ડ ઉપર રજુ દસ્તાવેજી પુરાવા તેમ જ બન્ને સર્વેયરના નુકસાની ખર્ચ અંગેના રિપોર્ટ સાથે ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિ ફાઉડેન્શનના પ્રમુખ સુચિત્રા પાલની દલીલોને ધ્યાનમાં લેતા વાહનને નુકસાન થયું છે તે હકીકતનો સ્વીકાર કરી ફરિયાદી ગ્રાહકની તરફેણ માં ઉપરોક્ત હુકમ કર્યો છે. શું છે હુકમ?
Read Original Article →