દાણીલીમડામાંથી 317 કફ સીરપના જથ્થા સાથે એકની ધરપકડ:બહેરામપુરામાં લારીમાંથી પૈસા લેવા મામલે વેપારીને છરીના ઘા માર્યા
અમદાવાદના દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાં ગુનાખોરીની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. દાણીલીમડા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 317 નશાકારક કફ સિરપની બોટલો સાથે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે બહેરામપુરામાં લારીમાંથી રૂપિયાની ચોરી કરનાર શખ્સે ઠપકો આપનાર વેપારી પર ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે. દાણીલીમડામાં નશાકારક સિરપના વેચાણનો પર્દાફાશ
દાણીલીમડા પોલીસની ટીમ જ્યારે નાઈટ કોમ્બિંગમાં હતી, ત્યારે તેમને ન્યુ ફૈઝલનગર પાસેના ખુલ્લા મેદાનમાં રિક્ષા દ્વારા ગેરકાયદેસર રીતે કફ સિરપ વેચાતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. પોલીસે સ્થળ પર દરોડો પાડીને સાહિલ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી કફ સિરપની 317 બોટલ, એક મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા મળી કુલ રૂ. 1.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સાહિલની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ જથ્થો તેણે દાણીલીમડાના જ મહમંદ સલામન ઉર્ફે બાબા મારવાડી પાસેથી મેળવ્યો હતો. હાલમાં દાણીલીમડા પોલીસે ફરાર આરોપી મહમંદ સલામન ઉર્ફે બાબા મારવાડીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બહેરામપુરામાં વેપારી પર જીવલેણ હુમલો
બીજી ઘટનામાં, બહેરામપુરા વિસ્તારમાં ફ્રુટની લારી ચલાવતા નારણભાઇ પુરાણીયા પર જતીન પરમાર નામના શખ્સે ચપ્પુથી હુમલો કર્યો છે. ગત 5 એપ્રિલના રોજ જ્યારે નારણભાઇ લઘુશંકા કરવા ગયા હતા, ત્યારે પાડોશના લારીધારકે તેમને જાણ કરી હતી કે જતીન તેમની લારીમાંથી રૂપિયા ચોરી ગયો છે. નારણભાઇ જ્યારે જતીનને આ બાબતે ઠપકો આપવા ગયા, ત્યારે મામલો બિચક્યો હતો. જતીન પરમારે ઉશ્કેરાઈને બિભત્સ ગાળો આપી ઝઘડો કર્યો હતો અને પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી નારણભાઇ પર બે વાર પ્રહાર કર્યા હતા. લોહીલુહાણ હાલતમાં વેપારીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Read Original Article →