ચૂંટણી જંગ:કોંગ્રેસે ફાર્મ હાઉસમાં ઉમેદવારો નક્કી કર્યા : ઓઢવ વોર્ડમાં ઉમેદવાર બદલ્યો
કોંગ્રેસે અમદાવાદ પાસેના ખાત્રજના ફાર્મ હાઉસમાં ઉમેદવારો નક્કી કરવા માટે બેઠકોનો દોર હાથ ધર્યો છે. કોંગ્રેસની બીજી યાદી ગુરુવારે જાહેર થાય તેવી શકયતા છે. અમદાવાદ મહાનગર પાલિકામાં ઓઢવ વોર્ડના જાહેર કરાયેલા ઉમેદવારોમાંથી ગોવિંદ દેસાઇએ ચૂંટણી લડવાની ના પાડતા તેમની જગ્યાએ યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ કપિલ દેસાઇને ઉમેદવાર જાહેર કર્યા છે. ઉપરાંત કોંગ્રેસ દ્વારા અગાઉ જાહેર કરાયેલા 3 ઉમેદવારોનાં નામ રાજ્ય ચૂંટણી પંચની મતદાર યાદીમાં ન હોવાથી તેમના વિકલ્પરૂપે બીજા 3 ડમી ઉમેદવારો પણ કોંગ્રેસે તૈયાર રાખ્યા છે. બુધવારે કેટલાંક નામની જાહેર ઘોષણા કરાઇ ન હતી. કોંગ્રેસ દ્વારા હાથ ધરાયેલી ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયામાં અમદાવાદમાં મોટા ફેરફાર આવે તેવી સ્થિતિ સર્જાઇ છે. કોંગ્રેસના શહેર પ્રમુખ સોનલ પટેલના કહ્યા પ્રમાણે અમદાવાદના નવરંગપુરા વોર્ડના ભાવનાબેન જાડેજા, ઇન્દ્રપુરીમા ધનીબેન જાદવ અને ચાંદલોડિયામાં ચંદ્રકાંત ગજ્જરને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ ત્રણેય ઉમેદવારોના નામ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની મતદાર યાદીમાં છે, પણ રાજય ચૂટણી પંચની યાદીમાં નથી. જો તેમના નામ પંચની બીજી યાદીમાં સામેલ ન થાય તો તેમના વિકલ્પરૂપે બીજા ત્રણ ઉમેદવાર તૈયાર છે. કોંગ્રેસે પ્રદેશ કાર્યાલય પર લોકોના ટોળા આવતા હોવાથી ઉમેદવારોની યાદી તૈયાર કરવા માટે ફાર્મ હાઉસમાં બેઠકોનો દોર હાથ ધર્યો છે. ગોવિંદ દેસાઇને ભાજપે મનાવ્યા?
ઓઢવમા કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર ગોવિંદ દેસાઇ સામાજિક કાર્ય સાથે સંકળાયેલા છે.તેઓ આ વિસ્તારમાં તેમના સમાજના કામ કરવા માટે જાણીતા હોવાથી કોંગ્રેસે તેને ટીકીટ આપી હતી. વળી, ઓઢવમાં ડીમોલીશનમાં દેહાઇ સમાજના મકાનો મોટી સંખ્યામાં તોડી પડાયા હોવાથી તેનો રોષ પણ છે. આથી સમાજના જ કામ સાથે સંકળાયેલા ગોવિંદ દેસાઇને ટીકીટ આપી હતી.જો કે, સામાજિક કાર્ય કરતા ગોવિંદ દેસાઇને રાજકારણમાં રસ ન લેવા ભાજપે મનાવ્યા કે શું તે પ્રશ્ન વહેતો થયો છે.
Read Original Article →