'હું ગાંધીનગર નર્મદા કેનાલમાં આપઘાત કરવા જઈ રહ્યો છું':કૌટુંબિક ઘરકંકાસના કારણે યુવક સ્યૂસાઇડ નોટ લખીને ઘરેથી નીકળી ગયો, આપઘાત પહેલા બાપુનગર પોલીસે યુવક જીવ બચાવ્યો
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતો યુવક ઘરકંકાસથી કંટાળીને સુસાઈડ નોટ લખીને ઘરેથી નીકળી ગયો હતો. પત્નીએ બાપુનગર પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા યુવકને ફોન કરવામાં આવ્યો હતો તેણે કહ્યું હતું કે, હું ગાંધીનગર નર્મદા કેનાલમાં આપઘાત કરવા જઈ રહ્યો છું. જેથી, પોલીસે તાત્કાલિક મોબાઈલનું લોકેશન મેળવીના રીક્ષાના આધારે તેને શોધી કાઢ્યો હતો. પોલીસને રડતા-રડતા પોતાની તકલીફ જણાવી હતી ત્યારે પોલીસે તેને આશ્વાસન આપ્યું હતું. તારા બધા પ્રશ્નોનું નિરાકરણ આવી જશે અને કોઈ પણ તકલીફ હોય તો પોલીસની મદદ લેવી જોઈએ અને સમજાવટ બાદ તેને બાપુનગર લાવીને તેનો જીવ બચાવ્યો હતો. મોડી રાતે યુવક ઘરે સુસાઇડ નોટ લખીને રીક્ષા લઈને નીકળી ગયો
બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી. કે. ગઢવીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોડી રાતે યુવક ઘરે સુસાઇડ નોટ લખીને રીક્ષા લઈને નીકળી ગયો હતો. પરિવારજનો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા ત્યારે હું મારી ટીમ સાથે લોકેશન અને રીક્ષાના પાછળ ફોટા અને આધારે તેની શોધખોળ શરૂ કરી હતી અને ગાંધીનગર જિલ્લાની હદમાં નરોડા નજીક કેનાલ પાસે થી યુવકને શોધી કાઢ્યો હતો. યુવકને તેના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની સાંત્વના આપી હતી અને તેને સહી સલામત ઘરે પરત લાવી પરિવારજનોને સોપ્યો હતો. રાતના ઘરે બોલાચાલી થતા યુવક આત્મહત્યા કરવા નીકળી ગયો
આ અંગેની વિગત એવી છે કે, બાપુનગર વિસ્તારમાં 33 વર્ષીય યુવક પરિવાર સાથે રહે છે. ઘરમાં કોઈ કારણોસર તકરાર ચાલતી હતી. આ દરમિયાન રાત્રિના સમયે બોલાચાલી થયા બાદ એક સ્યૂસાઇડ નોટ લખી હતી . જેમાં કોઈપણ વ્યક્તિનો વાંક નથી અને પોતે આત્મહત્યા કરવા જાય છે એવું લખાણ લખીને ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ ઘરમાં પત્નીની હાથમાં સુસાઈડ નોટ આવી ગઈ હતી જેથી તેમણે અવારનવાર ફોન કર્યા હતા પરંતુ ફોન ઉપાડ્યા નહીં અને ત્યારબાદ પોતે આત્મહત્યા કરવા જાય છે એવી વાત કરી હતી. પરિવાર પાસે રીક્ષાનો કોઈ નંબર નહોતો
પરિવારજનો રાત્રે બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. બાપુનગર પીઆઇ પોલીસ સ્ટેશનમાં જ હાજર હતા અને તાત્કાલિક તેમને સ્ટાફને સૂચના આપી. પોલીસે યુવકને ફોન કરતા તેઓ કેનાલમાં કૂદવા જાય છે તેમ જણાવ્યું હતું. પોતે રિક્ષા લઈને નીકળી ગયા છે પરંતુ, પરિવાર પાસે રીક્ષાનો કોઈ નંબર નહોતો. જોકે, રિક્ષાની પાછળ પતિ-પત્નીના ફોટોવાળા બેનર હોવાનું જણાવ્યું હતું. મોબાઈલ લોકેશન પણ મેળવવામાં આવ્યું હતું જે લોકેશન મેળવતા હંસપુરાથી દોઢ કિલોમીટર આગળ ગાંધીનગરમાં બતાવતુ હતુ. પોલીસે યુવક કેનાલ પર પહોંચે તે પહેલા અટકાવી તેનો જીવ બચાવ્યો
જે લોકેશન ઉપર મહેન્દ્રસિંહ જઈ રહ્યાં હતા તે નર્મદા કેનાલ તરફ જતો હતો. જેથી પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તાત્કાલિક યુવક કેનાલ સુધી પહોચે તે પહેલા તેમને રોક્યા હતા. તેને પૂછ્યું હતું કે, ક્યાં જાય છે તો કહ્યું કેનાલમાં પડવા જાઉં છું ત્યારે પી.આઈ ગઢવી દ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા કે તારા પત્ની અને પિતા ઘરે રાહ જોઈ રહ્યા છે. યુવકે કહ્યું હતું કંટાળી ગયો છું અને હારી ગયો છું ત્યારે તેને સમજાવ્યો હતો કે, આવી વાત નહીં કરવાની મારી સાથે ચાલો તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે. પોલીસ યુવકને પોલીસ સ્ટેશન ખાતે લાવીને પરિવારને સોંપ્યા હતા તેમજ કાઉન્સેલિંગ કરીને સમજાવ્યા હતા. દંપતી અને પરિવારજનોએ બાપુનગર પોલીસનો આભાર માન્યો હતો.
Read Original Article →