RBIની કરન્સી ચેસ્ટમાંથી રૂ. 8.70 કરોડની ઉચાપત:ભંગારના બહાને રાત્રિના સમયે રોકડ સગેવગે કરી, ઓડિટ કરતા જોઈન્ટ કસ્ટોડીયનનો ભાંડો ફૂટી ગયો

Gujarat5/16/2026, 6:35:30 PM
RBIની કરન્સી ચેસ્ટમાંથી રૂ. 8.70 કરોડની ઉચાપત:ભંગારના બહાને રાત્રિના સમયે રોકડ સગેવગે કરી, ઓડિટ કરતા જોઈન્ટ કસ્ટોડીયનનો ભાંડો ફૂટી ગયો
કાલુપુર ગાંધીરોડ ફુવારા પાસે આવેલી બેંક ઓફ બરોડાની મુખ્ય શાખામાં RBIની કરન્સી ચેસ્ટમાંથી જોઇન્ટ કસ્ટોડિયને 8.70 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યુ છે.બેન્કમાં ઓડિટ કરતા 500ના દરની 174 રીમ ઓછી જણાઇ હતી.જેથી તપાસ કરતા જોઇન્ટ કસ્ટોડિયને આરબીઆઇના ઇ-કુબેર પોર્ટલ પર ખોટા સર્ટિફિકેટ અને ચેસ્ટ સ્લીપ સબમીટ કરીને એક્સેલ શીટમાં પણ ચેડા કર્યા હતા.આ અંગે બેંકના ચીફ મેનેજરે જોઇન્ટ કસ્ટોડિયન સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ગાંધીરોડ BOBમાંઆવેલી છે RBIની કરન્સી ચેસ્ટ ત્રાગડમાં રહેતા હરીહર દેવમ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તે ગાંધીરોડ પર આવેલ બેન્ક ઓફ બરોડામાં ચીફ મેનેજર તરીકે નોકરી કરે છે.તેમની બેન્કમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી રૂપિયા મૂકવા માટેની તિજોરી ( કરન્સી ચેસ્ટ ) રાખવામાં આવી છે.તેમાં આરબીઆઇ તરફથી આવેલ રોકડ મૂકવામાં આવે છે. જે રોકડ તમામ બેન્કોને જરૂરિયાત મુજબ બ્રાન્ચમાંથી મોકલવામાં આવે છે. જે કરન્સી ચેસ્ટ પર બેન્ક તરફથી એક કસ્ટોડિયન અને જોઇન્ટ કસ્ટોડિયન મૂકવામાં આવે છે.જેમાં જોઇન્ટ કસ્ટોડિયન તરીકે ચાંદખેડાના હરસિધ્ધભાઇ કડીયારને નોકરીએ રાખ્યા હતા. ત્યારે કરન્સી ચેસ્ટ બંનેની હાજરીમાં ખોલવામાં આવે છે. જ્યારે તિજોરીમાં વધુ રકમની લોડિંગ અનલોડિંગ કરવાની હોય ત્યારે આરબીઆઇ દ્વારા નિયુક્ત કરેલ કોન્ટ્રાક્ટરને જાણ કરતા હોય છે. તે કોન્ટ્રાક્ટર લેબરોને મોકલતા હોય છે. ત્યારે લેબર તરીકે ઘણી વખત જુલ્ફીકાર અંસારી અને તેનો પુત્ર સુલ્તાન અહેમદ અંસારી તથા બીજા લેબરો આવે છે. જોઈન્ટ કસ્ટોડિયને રાત્રિના સમયે બેન્ક પર જઈ પૈસા સગેવગે કર્યા બાદમાં 13 એપ્રિલ 2026થી હરસિધ્ધભાઇએ તાવ આવ્યો છે કહીને રજા લઇને બેન્કમાં નોકરી પર આવાનું બંધ કરી દીધુ હતુ. પરંતુ તે જ દિવસે રાત્રે હરસિધ્ધ બે લેબરો સાથે બેન્કમાં જઇને બોક્સો લઇ જતો હતો. જેથી સિક્યુરિટીએ મેનેજરને જાણ કરતા હરસિધ્ધને ફોન કરતા ભંગારના બોક્સ લઇ જઉ છું તેમ કહીને ગેરમાર્ગે દોર્યા હતા. મેનેજરે અનેકવાર મેઇલ, પત્ર અને ફોનથી જાણ કરી હોવા છતા આવ્યો ન હતો. ત્યારે તેનો ચાર્જ અન્ય બેન્કકર્મીઓને સોંપ્યો હતો. બાદમાં બેન્કમાં ઓડિટ થતા કરન્સી ચેસ્ટમાં રૂ. 500ના દરની 174 રીમ ઓછી જણાઇ હતી. તેની કિંમત રૂ. 8.70 કરોડ છે. જેથી બેન્ક તરફથી તપાસ કરતા હરસિધ્ધે આરબીઆઇના ઇ-કુબેર કરન્સી ચેસ્ટ પોર્ટલમાં ખોટા બેલેન્સ સર્ટિફિકેટ અને ચેસ્ટ સ્લીપ સબમીટ કરી હતી. તેમજ હિસાબો બીનબુકમાં ખોટી માહિતી ભરીને રેકોર્ડ પર રૂ. 8.70 કરોડ બતાવીને ચોરી અને વિશ્વાસઘાત તેમજ ઉચાપત કરી હોવાનું સામે આવ્યુ છે. આ અંગે ચીફ મેનેજરે જોઇન્ટ કસ્ટોડિયન હરસિધ્ધ સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Read Original Article →