અમદાવાદમાં લગ્ન પ્રસંગ બન્યો લોહિયાળ:જમવામાં પુલાવ હોવાનું કહેતા વર અને કન્યા પક્ષ વચ્ચે મારામારી, રસોડાના સાધનો અને તીક્ષ્ણ હથિયારોથી એકબીજા પર તૂટી પડ્યા

Gujarat5/13/2026, 11:29:34 AM
અમદાવાદમાં લગ્ન પ્રસંગ બન્યો લોહિયાળ:જમવામાં પુલાવ હોવાનું કહેતા વર અને કન્યા પક્ષ વચ્ચે મારામારી, રસોડાના સાધનો અને તીક્ષ્ણ હથિયારોથી એકબીજા પર તૂટી પડ્યા
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન ભોજનમાં પીરસાયેલી વાનગીને લઈને વર અને કન્યા પક્ષ વચ્ચે થયેલી તકરાર હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનામાં રસોડાના સાધનો અને તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ થતા બંને પક્ષના અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેઘાણીનગર પોલીસે બંને પક્ષોની સામ-સામે ફરિયાદ નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. લગ્ન જેવા માંગલિક પ્રસંગમાં ભોજનના નજીવા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પુલાવ મામલે વરરાજાનો કન્યાના પિતા સાથે ઝઘડો ઘટનાની વિગત મુજબ, લગ્નમાં જમણવારમાં પીરસવામાં આવેલા પુલાવની ગુણવત્તા અને પસંદગીને લઈને બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. કન્યા પક્ષ તરફથી કશિશ કછવાયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પુલાવ મામલે થયેલી સામાન્ય બોલાચાલી બાદ સમાધાન થઈ ગયું હતું, પરંતુ મોડી રાત્રે વરરાજા સાગર, તેના ભાઈ અમૃત અને મિત્રોએ આવીને કન્યાના પિતા સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન હુમલાખોરોએ કન્યાના પિતાના હાથ પર તીક્ષ્ણ હથિયારથી ગંભીર ઈજા પહોંચાડી હતી અને વચ્ચે પડેલા કાકી, દાદી તથા માતા પર પણ હુમલો કર્યો હતો. સાથે જ, આ મારામારી દરમિયાન સોનાના દાગીના ચોરાયા હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. કન્યાના પિતા અને ભાઈનો વર પક્ષના સભ્યો પર હુમલો બીજી તરફ, વર પક્ષના આકાશસિંહ પરિહારે વળતી ફરિયાદ નોંધાવતા દાવો કર્યો હતો કે વિવાદની શરૂઆત કન્યાના ભાઈ રીતિકે કરી હતી, જેને 'બિરયાની કેમ નથી બનાવી' તે મુદ્દે વાંધો હતો. રાત્રે જ્યારે સમજાવટનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે કન્યાના પિતા અને ભાઈએ ઉશ્કેરાઈને રસોડામાં વપરાતા લોખંડના મોટા ઝારા અને તાવેતા વડે વર પક્ષના સભ્યો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં આકાશસિંહ અને તેના મિત્રોના માથા તથા ખભાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
Read Original Article →