TAT-HS પરીક્ષા માટે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 49 હજાર વિદ્યાર્થીઓ:ઉમેદવારએ કહ્યું, પૂરતી સંખ્યામાં ભરતી કરવામાં આવતી નથી

Gujarat4/12/2026, 7:37:53 AM
TAT-HS પરીક્ષા માટે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 49 હજાર વિદ્યાર્થીઓ:ઉમેદવારએ કહ્યું, પૂરતી સંખ્યામાં ભરતી કરવામાં આવતી નથી
ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે TAT HSની પરીક્ષા લેવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT HSની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં 1.65 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. જેના માટે 862 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તો અમદાવાદ શહેરમાં 31,170 ઉમેદવારો અને અમદાવાદ ગ્રામ્યમાં 18,094 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. સમયસર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ સરકાર હવે વહેલી ભરતી કરે તેવી પણ ઉમેદવારો અપેક્ષા રાખી રહ્યા છે. 'પૂરતી સંખ્યામાં ભરતી કરવામાં આવતી નથી' ઉમેદવાર જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, હું કચ્છથી પરીક્ષા આપવા માટે આવ્યો છું. પરીક્ષા માટે તૈયારી પણ ખૂબ સારી રીતે કરી છે. ભરતી આવે છે પરંતુ પૂરતી સંખ્યામાં ભરતી કરવામાં આવતી નથી. તેમજ અમારા કચ્છ વિસ્તારમાં અડધી જગ્યાઓ ખાલી પડી છે. જે લોકો આવે છે તે લોકો પણ રહેતા નથી અને જતા રહે છે. જેથી વિસ્તાર પ્રમાણે જગ્યા ઉપર ભરતી કરવી જોઈએ. તેમજ સમયાંતરે ભરતી ન થવાથી ઘણા ઉમેદવારોની ઉંમર પણ મર્યાદા કરતા વધુ થઈ જતી હોય છે. અમદાવાદ સહિત 6 જિલ્લાઓમાં પરીક્ષાનું આયોજન રાજ્યભરમાં 862 પરીક્ષા કેન્દ્રો પર ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા TAT-HS ની લેવામાં આવી રહી છે. અમદાવાદ સહિત 6 જિલ્લાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં 166 કેન્દ્રો પર 31170 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. તો અમદાવાદ ગ્રામ્યમાં અમદાવાદ ગ્રામ્યમાં 99 કેન્દ્રો પર 18094 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. એકાઉન્ટ એન્ડ કોમર્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી, કમ્પ્યુટર, ઈકોનોમિક્સ, અંગ્રેજી, જ્યોગ્રાફી, ગુજરાતી, હિન્દી, હિસ્ટ્રી, કૃષી વિદ્યા, ગણિત, ફિલોસોફી, ફિઝિક્સ, સાયકોલોજી, સંસ્કૃત, સોશિયોલોજી, આંકડાશાસ્ત્ર, શારીરિક શિક્ષણ વિષયોની પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્રણ માધ્યમના 41 વિષય માટે પરીક્ષા લેવાઈ પ્રાથમિક પરીક્ષા 200 ગુણની MCQ આધારિત રાખવામાં આવી છે. જેમાં 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એક સમાન રાખવામાં આવ્યો છે. તો 100 ગુણનો બીજો ભાગ જે-તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે તે વિષય આધારિત રાખવામાં આવ્યો છે. ત્રણ માધ્યમના 41 વિષય માટે પરીક્ષા લેવાઈ રહી છે. ગુજરાતી માધ્યમના 21 વિષય, અંગ્રેજી માધ્યમના 14 વિષય અને હિન્દી માધ્યમના 6 વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરીક્ષામાં ખોટા જવાબ દીઠ 0.25 ગુણનું નકારાત્મક મૂલ્યાંકન રાખવાના આવ્યું છે. 200 ગુણના પેપર લખવા માટે 180 મિનિટનો સમય ઉમેદવારોને આપવામાં આવ્યો છે. પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોના ચહેરા પર ઉત્સાહ પણ જોવા મળી રહ્યો હતો. 'સરકાર વહેલી ભરતી કરી દે તો ઉમેદવારો માટે સારું' ઉમેદવાર જનક વાઘેલાએ જણાવ્યું હતું કે, TAT પરીક્ષાની ઘણી બધી તૈયારીઓ કરી છે. ઘણા સમયથી પરીક્ષાની રાહ જોઈને બેઠા હતા. આ પરીક્ષા પૂર્ણ થાય ત્યારબાદ બીજી પરીક્ષા લેવામાં આવશે. પરંતુ પરીક્ષા પૂર્ણ થયા બાદ સરકાર વહેલી ભરતી કરી દે તો ઉમેદવારો માટે સારું છે. જો બે કે ત્રણ વર્ષ પછી ભરતી કરવામાં આવશે તો ઉમેદવારો માટે અઘરું થશે. તેમજ કેટલાક ઉમેદવારોની તો ઉંમર પણ પૂર્ણ થઈ જશે અને તે લોકો ભરતી પરીક્ષામાં ફોર્મ નહીં ભરી શકે. વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તો ઉમેદવારોને ફાયદો થઈ શકે છે. ઘણા એવા પણ ઉમેદવારો છે કે જે પરીક્ષા પાસ કરી ચૂક્યા છે પરંતુ સમયસર ભરતી ન થતા તેમની ઉંમર મર્યાદા કરતા વધી ગઈ છે. જેથી તેમના માટે પણ ઉંમરની છૂટછાટ આપવામાં આવે તો તે લોકોને પણ ફાયદો થઈ શકે છે.
Read Original Article →