પોલીસ કોન્સ્ટે.ની પત્નીના મોત મામલે અમદાવાદમાં રાજસ્થાનીઓ ઉમટ્યાં:પોલીસ કમિ. કચેરી સુધી રેલી યોજી, કરણી સેનાના પ્રમુખ સહિતના કાર્યકરો જોડાયા, 'ગીતા બહેન કો ન્યાય દો...'ના નારા લાગ્યા
અમદાવાદના વાસણા વિસ્તારમાં 15 એપ્રિલના રોજ ગીતા રાજપુરોહિત નામની મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ મામલે વાસણા પોલીસે મૃતકના પતિ અને પોલીસ કોન્સ્ટેબલ અર્જુન પુરોહિત વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. પરંતુ 20 દિવસ બાદ પણ આરોપીની ધરપકડ ન થતા મૃતકનો પિયર પક્ષ અને રાજસ્થાની સમાજના લોકો આક્રમક મૂડમાં હતા. ન્યાયની માંગ સાથે આજે મોટી 500 જેટલા અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. આ લોકોમાં રાજસ્થાની સમાજ તથા કરણી સેના પ્રમુખ રાજ શેખાવત સહિત કરણી સેનાના સભ્યો પોલીસ કમિશનર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. આ દરમિયાન 'ગીતા બહેન કો ન્યાય દો' સૂત્રોચ્ચાર થયા હતા. જો કે થોડીવાર સુધી ગેટ બંધ કરી અંદર જવા ન દેતા આ લોકો ગેટ પાસે જ બેસી ગયા હતા. ત્યાર બાદ તેમને લેખિતમાં બાહેંધરી આપવામાં આવતા અંતે લોકો ન્યાયની આશા સાથે પરત ફર્યા હતા. આ અંગે રાજસ્થાનના જોધપુરમાં રહેતા મૃતક ગીતા બહેનના ભાઈ નાથુસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે અમે ન્યાયની માંગણી સાથે પોલીસ કમિશનર કચેરી આવ્યા હતા જ્યાં અમને જેસીપી નીરજ બડગુજરે બાહેંધરી આપી છે. આગામી બે દિવસમાં અમને લેખિતમાં બાહેધરી આપવામાં આવશે. ઇન્ચાર્જ પોલીસ કમિશનરને રજૂઆત કરી
મૃતકના પરિવારને અંદર લઈ જવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ કમિશનર સાથે મુલાકાત કરવા ન દેતા પરિવારના લોકો રોષે ભરાયા હતા. પોલીસ કમિશનર ના મળે તો કચેરી બહાર જ ધરણા કરવાની ચીમકી આપી હતી. જો કે પોલીસ કમિશનર ના હોવાથી ઈન્ચાર્જ કમિશનરને રજૂઆત કરવા પરિવારને અંદર જવા દેવામાં આવ્યો હતો. FIR નોંધાઈ તો એમાં ઘણાં નામો હતા
મૃતકના ભાઈ મહેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, 23 તારીખે FIR નોંધાઈ તો એમાં ઘણાં નામો હતા, જેમાં અમે 24 તારીખે મેં અને મારી બહેન ગીતાના કોલ રેકોર્ડ્સ પોલીસને આપ્યા. જેમાં બધી વસ્તુઓ, એના પરિવારના બીજા સાથીદારોના નામ હતા. 'સુસાઈડ' વાળા ચશ્મા હટાવો અને હત્યાની નજરે જુઓ
તેમની શરતો પર અમે FIR કરાવી દીધી. કારણ કે અમે બીજી જગ્યાએ તપાસ કરી તો અમને કહેવામાં આવ્યું કે 'કોર્ટમાં આપણે આને આગળ લઈ જઈશું, અત્યારે જે રીતે કરે છે એ રીતે એમને કરવા દો, આપણે કોર્ટમાં જોઈ લઈશું.' એ વસ્તુ થઈ ગઈ. ત્યારબાદ અમે જેટલા પણ બીજા વોટ્સએપ ચેટ્સ (WhatsApp chats) વગેરે હતા, જેનાથી સ્પષ્ટ ખબર પડતી હતી કે આ હત્યા છે, આત્મહત્યા નથી. અમે વારંવાર પોલીસને કહેવાની કોશિશ કરી, સમજાવવાની કોશિશ કરી કે તમે એકવાર આ 'સુસાઈડ' વાળા ચશ્મા હટાવો અને હત્યાની નજરે એકવાર અમારા કહેવાથી જોઈ લો, તમને હત્યા જ દેખાશે. આત્મહત્યા કે સુનિયોજિત હત્યા? પરિવારના ગંભીર આક્ષેપો
મૃતક ગીતાબેનના પરિવારજનોનો આક્ષેપ છે કે આ માત્ર આત્મહત્યાનો કિસ્સો નથી, પરંતુ સુનિયોજિત કાવતરું રચીને કરવામાં આવેલી હત્યા છે જેને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ શંકાને આધારે પરિવારજનો છેલ્લા 20 દિવસથી વાસણા પોલીસ સ્ટેશનની બહાર ધરણા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પરિવારજનોની હત્યાનો ગુનો નોંધવાની માંગ
મૃતકના પરિવારજનોની મુખ્ય માંગ છે કે, આરોપી પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાને બદલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે. આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને સ્થાનિક પોલીસને બદલે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવે. શું છે મામલો?
અમદાવાદના વાસણામાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની પત્નીએ પતિના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પતિ અવારનવાર ઝઘડા કરી મારઝુડ કરતો હતો. તેમજ પુત્રની બીમારીનો રિપોર્ટ સારો ન આવતાં પતિએ પત્નીને ઉંઘની ગોળીઓ આપી સૂવડાવી હતી. 14 એપ્રિલે પતિ સાથે ઝઘડો થતાં વીડિયો વોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો. આ અંગે મૃતકના ભાઈએ પોલીસ કોન્સ્ટેબલ સામે વાસણા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
Read Original Article →